Mysamchar.in:જામનગર
સુપ્રિમ કોર્ટે કાલે ગુરુવારે વધુ એક નોંધપાત્ર ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર, ભ્રષ્ટ અધિકારીઓનાં લાંચ કેસમાં તપાસનીશ અધિકારી સાંયોગિક પુરાવાનાં આધારે પણ કેસને વાજબી અંત સુધી લઈ જઈ શકે છે. અસંખ્ય લાંચ કેસમાં આ ચુકાદો ઉપયોગી પૂરવાર થઈ શકે છે.કાલે ગુરુવારે સુપ્રિમ કોર્ટે એક લાંચ કેસમાં નિરીક્ષણ કરતાં કહ્યું કે, અદાલતોએ ભ્રષ્ટ અધિકારીઓને સજા અપાવવાના મામલાઓમાં જરા પણ હળવાશ ન લેવી જોઈએ. જે કિસ્સાઓમાં લાંચ આપવા અને સ્વીકારવા અંગેનો કોઈ પ્રત્યક્ષ પુરાવો ઉપલબ્ધ ન હોય તેવાં કિસ્સાઓમાં સાંયોગિક પુરાવાનાં આધારે ભ્રષ્ટ અધિકારીને દોષિત ઠેરવી શકાય છે. ઠેરવવા જોઈએ.
ભ્રષ્ટાચાર નિયંત્રણ કેસ સંબંધમાં પ્રત્યક્ષ પુરાવો હોવો જ જોઈએ એવું ફરજિયાત નથી, એમ પણ સુપ્રિમ કોર્ટે કહ્યું. સુપ્રિમ કોર્ટનું આ નિરીક્ષણ દેશભરમાં ભ્રષ્ટાચાર સંબંધી કેસોમાં ખૂબ જ માર્ગદર્શક પૂરવાર થઈ શકે છે. કાલે ગુરુવારે સુપ્રિમ કોર્ટ ત્યાં સુધી કહ્યું છે કે, ફરિયાદી સહિત કોઇ પણ સાક્ષી ટ્રાયલ દરમિયાન પોતાની જુબાની ફેરવી તોળે તો પણ, અદાલત ભ્રષ્ટ અધિકારીને સજા આપી શકે છે. આ માટે અદાલતોએ સાંયોગિક પુરાવાઓ પર ધ્યાન આપવું જોઈએ.જસ્ટિસ નાગરત્નાએ કહ્યું: ફરિયાદી પોતાની જુબાની બદલી કાઢે, ટ્રાયલ દરમિયાન અવસાન પામે કે પછી સાક્ષીઓ ટ્રાયલ દરમિયાન ઉપલબ્ધ ન હોય તો પણ, પ્રોસિકયુશને અન્ય સાક્ષીઓની જુબાની તથા સાંયોગિક પુરાવાઓનાં આધારે ભ્રષ્ટ અધિકારીને સજા અપાવવી જોઈએ. અદાલતોએ આવા કિસ્સાઓમાં વધુ સતર્ક રહેવું જોઈએ અને મામલાને પરિણામલક્ષી અંત સુધી દોરી જવો જોઈએ. ભ્રષ્ટ અધિકારીઓ બચી ન જાય તે અદાલતોએ જોવું પડશે.