Mysamachar.in:જામનગર, દેવભૂમિ-દ્વારકા
એવું નથી કે, મહાનગરપાલિકાઓમાં જ ડખ્ખા અને ગોબાચારીઓ ચાલતી હોય છે, નાનાં શહેરોની પાલિકાઓ પણ કામોને બદલે પંચાતોમાં વ્યસ્ત રહેતી હોય છે અને તેથી પ્રજાકીય કામો ભૂલાઈ જતાં હોય છે ! સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ એવી પાલિકાઓ છે જેણે પ્રજાનાં કામો માટેનાં નાણાંનો સમયસર ઉપયોગ ન કર્યો અને આ નાણાં સરકારમાં પરત મોકલી દેવા પડ્યા ! ટૂંકમાં, એટલાં પ્રમાણમાં લોકોનાં કામો ટલ્લે ચડયા. છતે નાણે ઉપાધિઓ.
સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે, નાનાં શહેરોની પાલિકાઓમાં કાં તો સતાપક્ષ અને વિપક્ષ લડયે રાખે અથવા પક્ષપલટા થયે રાખે અથવા પદ માટે શાસકો અંદરોઅંદર લડયે રાખે. એમાં પ્રજાના કામો રખડી પડે. ઘણાં કિસ્સાઓમાં તો બિચારાં કરદાતા નાગરિકો પોતાના નાનાં નાનાં કામો માટે શાસકોને તથા અધિકારીઓને કરગરતા હોય છે અને શાસકો તથા તંત્રવાહકો લોકોને એવી ગોળીઓ પીવડાવતા હોય છે કે, સરકારમાંથી ગ્રાન્ટ નથી આવી, નથી આવતી.
હકીકત એ છે કે, પાલિકાઓમાં સતાધીશો અને અધિકારીઓ હુંસાતુંસીમાંથી નવરાં પડતાં હોતાં નથી જેથી સરકારમાંથી આવતાં ગ્રાન્ટનાં નાણાં પરત પણ મોકલવા પડતાં હોય છે. સમયસર કામો ન થાય તેથી નાણાં પરત સરકારમાં જમા કરાવવા પડે અને બીજી બાજુ લોકો કામોના અભાવે અસુવિધાઓમાં આથડે. જામનગર સહિત હાલારમાં તમામ પાલિકાઓ આ પ્રકારની છે ! દરેક પાલિકાએ સરકારમાં નાણાં પરત મોકલ્યા છે ! પ્રજાકીય કામો રખડ્યા છે. એમાંયે કાલાવડ અને સિક્કા પાલિકાનો વહીવટ ખૂબ જ ખરાબ હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે !
સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ પાલિકાઓએ કામો સમયસર ન કરી, ગ્રાન્ટનાં નાણાં સરકારમાં પરત મોકલ્યા છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં આઠ પાલિકાઓની આવી સરકારમાં પરત ગયેલી કુલ રકમ 6.21 કરોડ છે. આટલાં નાણાંમાંથી લોકોનાં કેટલાં બધાં કામો થઈ શક્યા હોત ?!
જામજોધપુર પાલિકાએ રૂ.51.79 લાખની ગ્રાન્ટ સરકારમાં પરત મોકલી છે. એ જ રીતે ખંભાળિયા પાલિકાના રૂ.51.71 લાખ સરકારમાં પરત ગયા છે. જામરાવલ પાલિકાનાં સતાધીશોએ રૂ.29.20 લાખ સરકારમાં પરત મોકલ્યા છે. ભાણવડ પાલિકા ગ્રાન્ટનાં નાણાં પૈકી રૂ.57.47 લાખનો ઉપયોગ લોકો માટે કરી શકી નહીં, જેથી નાણાં પરત સરકારમાં મોકલી આપવા પડ્યા ! એ જ રીતે, સલાયા પાલિકાએ રૂ.8.07 લાખ સરકારને પરત મોકલ્યા. સતત ઉઠાપટકમાં વ્યસ્ત રહેતી સિક્કા પાલિકાએ લોકોનાં કામોમાં રુપિયો ખર્ચ ન કરતાં, તેણે રૂ.1.07 કરોડ સરકારમાં પરત મોકલવા પડ્યા ! એ જ રીતે ધ્રોલ પાલિકાએ પણ રૂ.22.92 લાખની ગ્રાન્ટ સરકારમાં પરત કરી છે. રાજકારણની આંટીઘૂંટીમાં માહિર કાલાવડ પાલિકાનો વહીવટ પણ આ દ્રષ્ટિએ સારો નથી એટલું જ નહીં, સમગ્ર હાલારમાં સૌથી નબળો છે. કેમ કે આ પાલિકાએ સૌથી વધુ નાણાં સરકારમાં પરત મોકલી દીધાં છે ! આ પાલિકાએ રૂ.3.41 કરોડ સરકારને પાછાં આપી દીધાં અને લોકો કામોથી અને સુવિધાઓથી વંચિત રહ્યા !
આ પ્રકારની પાલિકાઓને નગરપાલિકા નિયામક દ્વારા ગ્રાન્ટ વાપરવા વારંવાર સૂચના આપવામાં આવે છે, તાકીદ કરવામાં આવતી હોય છે છતાં, પ્રજાકીય કામોમાં દિલચસ્પી દાખવવાને બદલે શાસકો અને અધિકારીઓ અન્ય કામોમાં વ્યસ્ત રહ્યા અને લોકો માટે સરકારે આપેલાં નાણાં પરત મોકલી આપવા પડ્યા !