Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકામથક નજીકનાં ભવિષ્યમાં નેશનલ હાઈવે મેળવવા સદભાગી બનશે. આ હાઈવે કાલાવડને રાજકોટ જિલ્લાનાં ધોરાજી સાથે જોડશે. 58 કિમી લાંબા આ માર્ગને રાજ્ય ધોરીમાર્ગમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં રૂપાંતરિત કરવા પાછળ રૂ. 246 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
આ નેશનલ હાઈવે બે વર્ષમાં તૈયાર થઈ જશે એમ જાહેર કરવામાં આવ્યું છે. આ રસ્તો હાલ જામનગર અને રાજકોટ જિલ્લામાં વધુમાં વધુ 7 મીટરની પહોળાઈ ધરાવે છે. આ 58 કિમી લાંબા માર્ગને સળંગ 10 મીટર પહોળો બનાવવામાં આવશે. જેને કારણે વાહનચાલકોને ઘણી સરળતા રહેશે. આ કામ માટેનું ટેકનિકલ બીડ ખૂલી ગયું છે. નાણાંકીય બીડ આ મહિનામાં ખૂલી જશે. આ રસ્તો જામનગર જિલ્લામાં પ્રથમ નેશનલ હાઈવે બનશે. અત્રે નોંધનીય છે કે, આ માર્ગને પહોળો કરવાની સાથે સાથે રિએલાઈમેન્ટ પણ કરવામાં આવશે.