Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાનું આગામી નાણાંકીય વર્ષનું ડ્રાફ્ટ અંદાજપત્ર કમિશનર દ્વારા ગત્ 31 જાન્યુઆરીએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કરો તથા ચાર્જમાં કુલ રૂ. 53 કરોડનો વધારો સૂચવવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે બુધવારે સવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન મનીષ કટારીયાના અધ્યક્ષસ્થાને મળી જે બજેટચર્ચા માટે યોજવામાં આવી હતી.
આ બેઠકમાં કેટલાક લોકહિતના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે, કમિશનર દ્વારા જે વધારાનો કરબોજ સૂચવવામાં આવ્યો હતો તેમાંથી 50 ટકા જેટલો વધારાનો કરબોજ માન્ય રાખવામાં આવ્યો છે. અને બાકીના વધારાને સ્ટે,કમિટીએ ફગાવી દઈ લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે, જો કે આગામી વર્ષે કરદાતા નગરજનોએ આશરે રૂ. 26/27 કરોડ જેટલો વધારાનો કરબોજ કોર્પોરેશનને ચૂકવવાનો થશે. જો કે જાણકારોને મતે વધારાના ટેક્સની આવકને કારણે શહેરના વિકાસકામોને પણ વેગ મળશે.
સ્ટેન્ડિંગ કમિટીએ કમિશ્નરે સૂચવેલા કેટલાંક વધારા માન્ય રાખ્યા છે, કેટલાંક વધારા આંશિક માન્ય રાખ્યા છે અને કેટલાંક વધારા ફગાવી પણ દીધાં છે. ટૂંકમાં, કમિશ્નરે સૂચવેલા વધારાનાં કરબોજમાં સ્ટેન્ડિંગ કમિટીએ અંદાજે પચાસ ટકા જેટલી રાહતો આપી છે. અને, કેટલાંક વધારાઓ કમિશનરનાં સૂચન મુજબ અમલમાં મૂકવા જનરલ બોર્ડને ભલામણ કરી છે.
લઘુત્તમ મિલકતવેરા દરોની વાત કરીએ તો, કમિશનરે 40 ચોમી સુધીનાં નાનાં રહેણાંક મકાનો પરનાં વેરામાં પણ 90થી 120 ટકા જેટલો વધારો સૂચવ્યો હતો. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીએ આ સૂચન માન્ય રાખ્યું નથી. 40 ચોમી સુધીનાં નાનાં રહેણાંક મકાનો પરનાં લઘુત્તમ મિલકત વેરાના દરો ગત્ વર્ષ જેટલાં જ એટલે કે યથાવત્ રાખ્યા છે. આ સાથે, કમિશ્નરે 40 ચોમીથી 50 ચોમી સુધીનાં રહેણાંક મકાનો તથા 50ચોમી થી વધુ ક્ષેત્રફળ ધરાવતા રહેણાંકો પરનાં લઘુત્તમ મિલકત વેરાના દરો પરિણામલક્ષી દરો મુજબ વસૂલવા સૂચન કરેલું જે સ્ટેન્ડિંગ કમિટીએ માન્ય રાખ્યું છે. એટલે મોટાં રહેણાંક મકાનમાં રહેતાં નગરજનોએ વધારાનો મિલકતવેરો ભરવાનો થશે. જો કે આ નિર્ણય અંગે હજુ જનરલ બોર્ડમાં ચર્ચા થશે. બાદમાં જનરલ બોર્ડની બેઠકમાં આ નિર્ણય મંજૂર થશે.
આ ઉપરાંત કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં બિનરહેણાક ઈમારતો તથા મિલ્કતો ( કોમર્શિયલ, શૈક્ષણિક, સામાજિક તથા ઔદ્યોગિક) માટેનાં ભારાંકમાં વધારાઓ સૂચવ્યા હતાં. સ્ટેન્ડિંગ કમિટીએ આ સૂચનો પૈકી આંશિક સૂચનો માન્ય રાખતાં આવી મિલ્કતોના વેરાઓની રકમમાં આંશિક વધારો થશે.
-વોટરચાર્જમાં સ્ટેન્ડિંગ કમિટીએ શું નિર્ણય કર્યો ?
ઘરવપરાશના 15મિમી કે તેથી ઓછાં ડાયામીટરની પાણીની લાઈન ધરાવતાં ફિક્સ નળ કનેકશન માટે અત્યાર સુધી વાર્ષિક રૂ. 1,150 ચાર્જ હતો તે વધારીને રૂ. 1,500 કરવામાં આવે એવું કમિશ્નરે સૂચવ્યું હતું. પરંતુ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એવું નક્કી થયું કે, આ વોટર ચાર્જ વાર્ષિક રૂ. 1,300 કરવામાં આવશે.
આ ઉપરાંત ફલેટધારકો પાસેથી દર 1,000 લિટર પાણીનાં ઓછામાં ઓછાં રૂ. 70 વોટરચાર્જ તરીકે લેવામાં આવતાં હતાં તે હવે પહેલી એપ્રિલથી રૂ. 80 લેવા સ્ટેન્ડિંગ કમિટીએ જણાવ્યું છે. એ જ રીતે સ્લમ વિસ્તારોમાં વોટર ચાર્જ રૂ. 575 હતો તે વધારીને રૂ. 650 કરવામાં આવ્યો છે.
-કમિશનર દ્વારા નવા સૂચવવામાં આવેલાં ત્રણ ચાર્જ અંગે શું નિર્ણય થયો ?
કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં નવો ગ્રીનરી ચાર્જ તથા ફાયર ચાર્જ સ્લેબમાં સૂચવવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીએ ભલામણ કરી છે કે, સ્લેબ નહીં પણ ફિક્સ ચાર્જ લેવામાં આવે. આ ઉપરાંત કમિશનરે કહ્યું હતું કે, તમામ પ્રકારની મિલ્કતોના ધારકો પાસેથી દર વર્ષે સ્ટ્રીટ લાઈટ યુસેજ ચાર્જ તરીકે રૂ. 200 નવા વધારાનાં ચાર્જ તરીકે વસૂલવામાં આવે. સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરનું આ સૂચન માન્ય રાખ્યું છે. એટલે દર વર્ષે દરેક મિલ્કત ધારકે આ વધારાનાં રૂ. 200 કોર્પોરેશનને આપવાનાં થશે.