Mysamachar.in-જૂનાગઢ:
આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે 2.91 લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાને રાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે 195 જેટલી વધુ બસમાં 7800 થી વધુ ટ્રીપો દ્વારા 3.70 લાખ જેટલા મુસાફરોને સુવિધા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
મહાશિવરાત્રી મેળાને ‘મિનિ કુંભ મેળા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને ઐતિહાસિક બનવાનો છે ત્યારે લાખઓની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથના દર્શનાર્થે આવશે. શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે કુલ 195 વધારાની બસો દોડાવવામાં આવશે. જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે દૈનિક 80 વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.
આંતર-જિલ્લા સુવિધા માટે આસપાસના જિલ્લાઓમાંથી આવતા ભક્તો માટે જૂનાગઢ ડિવિઝનની 65 અને અન્ય ડિવિઝનની 50 મળીને કુલ 115 એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે. મુસાફરોની સુરક્ષા અને સમયપાલન માટે મેળા દરમિયાન તમામ બસોનું ૨૪*૭ જીપીએસ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. એસ.ટી. નિગમ દ્વારા કરવામાં આવેલ આ સુદ્રઢ આયોજનને કારણે શિવભક્તો કોઈપણ અડચણ વગર મહાદેવના દર્શન કરી ભવનાથ મહાશિવરાત્રી મેળાનો આનંદ માણી શકશે.


























































