Mysamachar.in-ગાંધીનગર:
ગાંધીનગરમાં બેઠેલાં મુખ્યમંત્રી ખુદ દોડાદોડી કરતાં હોય છે પરંતુ એમનો જાતઅનુભવ એવો રહ્યો છે કે, સ્થાનિક કક્ષાએ અધિકારીઓ દોડતા નથી. પરિણામે સરકાર બદનામ થઈ રહી છે. આથી વારંવાર ગાંધીનગર કક્ષાએથી જુદીજુદી સૂચનાઓ મુજબ તંત્રોના પૂંછડા આમળવાના પ્રયત્નો થઈ રહ્યા છે આમ છતાં સરકાર તંત્રોને દોડતાં કરી શકી નથી. દરમ્યાન, સામાન્ય વહીવટ વિભાગે આ માટે વધુ એક પરિપત્ર બહાર પાડવો પડ્યો.
સરેરાશ લોકોનો અનુભવ એવો છે કે, સરકારી કચેરીઓની રૂબરૂ મુલાકાત વખતે અને ટેલિફોનિક સંપર્ક વખતે કચેરીઓમાંથી એવા જવાબો મળતાં હોય છે કે, સાહેબ મિટિંગમાં છે. અથવા, ફોન કરનારને એવો મેસેજ પ્રાપ્ત થાય કે, I’ll call you later…અથવા વર્કશોપ, સેમિનાર કે મિટિંગમાં છું- એવા મેસેજ મળે. આ ‘ચેપ’ માત્ર સરકારી વિભાગોમાં જ નથી, જિલ્લાઓની પંચાયતો અને મહાનગરોમાં કોર્પોરેશનોમાં પણ આ જ સ્થિતિઓ છે !
ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત બીજી ત્રીજી કેડરના પરચૂરણ અધિકારીઓ પણ મિટિંગના બહાના કાઢવાનું શીખી ગયા છે. આ દૂષણ એટલી હદે વ્યાપક બની ગયું છે કે, ખુદ સરકારને પણ હવે આ અનુભવો થવા લાગ્યા છે. લોકોના પત્રો, રજૂઆતો અને આવેદનોના જવાબ ન આપતાં અને આવા કામોથી ભાગતા અધિકારીઓ ‘મિટિંગમાં છું ‘ એવા બહાના કાઢતા હોય છે. આ પ્રકારની ફરિયાદો છેક ગાંધીનગર પણ પહોંચે છે.

-સરકારે આખરે આ નિર્ણય શા માટે લેવો પડ્યો ? અને નિર્ણય શું છે ?
આ બધી બાબતો ધ્યાન પર લઈ વહીવટી સુધારણા પંચે સરકારને આ મિટિંગોના દૂષણને નિવારવા ભલામણ કરવી પડી. અને આ ભલામણના આધારે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે SoP જાહેર કરવી પડી છે. આ પરિપત્રમાં જણાવાયું છે કે, ખાસ કિસ્સાને બાદ કરતાં મિટિંગનું આયોજન 3 દિવસ અગાઉ કરવાનું રહેશે. બહારગામના અધિકારીઓને મિટિંગમાં વર્ચ્યુઅલી જોડવાના રહેશે. અને અપવાદરૂપ સંજોગોને બાદ કરતાં કોઈ પણ મિટિંગ 1 કલાકથી વધુ સમય ચલાવી શકાશે નહીં.
આ ઉપરાંત પરિપત્રમાં કહેવાયું છે કે, મિટિંગના અધ્યક્ષે મિટિંગમાં દરેક મુદ્દાની છણાવટ કરવાની રહેશે. અગાઉની મિટિંગની માહિતીઓ આપવાની રહેશે. મિટિંગ પૂર્ણ થયા બાદ અધ્યક્ષે મિનિટ ઓફ મિટિંગ 24 કલાકમાં તૈયાર કરવાની રહેશે. અને આ દરેક કામગીરીઓ માટે અધિકારીઓની જવાબદારીઓ ફીક્સ કરવાની રહેશે.