Mysamachar.in:ગુજરાત
ભારત અને ગુજરાત રસ્તાઓનું અદભૂત અને વિશાળ નેટવર્ક ધરાવે છે એ ગૌરવની વાત છે તેની સાથે શરમની વાત એ પણ છે કે, આ રસ્તાઓના નિર્માણમાં બધું જ ‘બરાબર’ નથી ! એવો રિપોર્ટ જાહેર થતાં સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઇ છે. તાજેતરમાં રાજ્યનાં ધોરી માર્ગો, નાનાં માર્ગો અને જિલ્લા પંચાયતો દ્વારા નિર્મિત રસ્તાઓની ગુણવત્તા ચકાસવા લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, રાજ્યનાં 25 જિલ્લાઓનાં 54 રસ્તાઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ રસ્તાઓ પૈકી 31 રોડમાં સંબંધિતો દ્વારા કુંડાળા ચિતરી લેવામાં આવ્યા છે.
રાજ્યભરમાં હાલ એક તરફ ચોમાસું ચાલી રહ્યું છે બીજી તરફ અત્યારે આ રિપોર્ટ પ્રગટ થયો છે કે, રસ્તાઓની ક્વોલિટી નબળી છે. આ ઇન્સ્પેક્શન એપ્રિલ તથા મે મહિનામાં હાથ ધરવામાં આવ્યું હતું. તેનો પ્રથમ તબક્કાનો રિપોર્ટ જાહેર થયો છે. લેબોરેટરી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ નબળાં રોડ પૈકી મોટાભાગના રસ્તાઓના નિર્માણમાં બાઇન્ડર સામગ્રી (રોડને જોડતી-પકડી રાખતી સામગ્રી) નબળી જોવા મળી છે !
રોડ બનાવવામાં વપરાતી કપચી તથા પથ્થર જેવી તમામ ચીજોને ડામર સાથે લાંબા સમય સુધી જોડી રાખવા વાપરવામાં આવતું બાઇન્ડર મહત્વની ચીજ છે. તેની ક્વોલિટી નબળી હોય તો ભારે વાહનોને કારણે તથા વરસાદમાં ડામર અને કપચી સહિતની ચીજો એકમેકથી છૂટી પડી જતાં તે રસ્તો તૂટી જાય છે. આ 54 પૈકી 31 રોડમાં રસ્તાઓની જાડાઈ પણ નિયમ કરતાં ઓછી રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આમ રોડનાં ફાઉન્ડેશનમાં તથા રોડનાં ઉપરનાં પડમાં ગોબાચારીઓ આચરવામાં આવી છે તેથી આ રસ્તાઓ તૂટી જશે એમ ઈજનેરી નિષ્ણાતો રિપોર્ટના આધારે જણાવી રહ્યા છે.