Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે પણ જરૂરિયાત ઉભી થાય ત્યારે જળાશયોમાં પાણી પહોંચાડવા માટેની આંતર જળાશય પાઈપલાઈન તથા નર્મદા આધારિત સરદાર સરોવરમાંથી આ લીંકમાં પાણીનો વધારાનો જથ્થો પહોંચાડવા સમગ્ર સૌરાષ્ટ્રમાં “સૌની” યોજના હેઠળ જામનગર સહિતના જિલ્લાઓમાં પાઈપલાઈન નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું. ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી આ યોજના હેઠળ જામનગર તથા દ્વારકા જિલ્લામાં કુલ 2 લીંક અને 4 જુદાં જુદાં પેકેજ હેઠળ ડેમોમાં પાણી પહોંચાડવામાં આવે છે.
જામનગર તથા દ્વારકા જિલ્લાની વાત કરીએ તો, લીંક-1 અને લીંક-3 અંતર્ગત પેકેજ નંબર 3,4,5 અને 7 મારફતે કુલ રૂ. 2,899.84 કરોડનાં ખર્ચે આ પાઈપલાઈન પાથરવામાં આવી છે. પરંતુ આ નેટવર્ક પૈકી જામનગર જિલ્લામાં તંત્રએ કુલ કેટલાં કિમી લંબાઈની પાઈપલાઈન પાથરી છે ? એ અંગેનો સત્તાવાર આંકડો પૂછપરછ પછી પણ જામનગર કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી! જિલ્લામાં આ કચેરીએ કેટલું કામ કર્યું ? કચેરીને ખુદને ખબર નથી એ આશ્ચર્ય ન લેખાય ?! આવડો તોતિંગ ખર્ચ અને હિસાબ નહીં! એ મુદ્દો સંવેદનશીલ કહેવાય.
આ ઉપરાંત સૌની યોજનાની જામનગર કચેરી આ મુદ્દે વર્ષોથી બંધ બાજી રમી રહી છે! શા માટે ?! જામનગર જિલ્લામાં આ યોજના અંગે કચેરીને અત્યાર સુધીમાં કેટલી રજૂઆતો અને ફરિયાદો મળી ? ભ્રષ્ટાચારનાં કેટલાં આક્ષેપો થયાં ?! વગેરે બાબતો પર સ્થાનિક કચેરી મૌન કેમ છે ?! કચેરી વાતને તથા વિવાદને ઠંડા પાડવા એવો પ્રચાર કરી રહી છે કે, ખેડૂતો અને ગ્રામજનો દ્વારા થયેલી તમામ રજૂઆતો અને ફરિયાદોનો સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો છે. ટૂંકમાં, ફરિયાદો અને રજૂઆતોનો સરકારી ઢબે, કાગળો પર નિકાલ થયો હોવાનું સમજાઈ રહ્યું છે. આ વિષય પર સ્થાનિક સત્તાવાળાઓએ જાહેર સ્પષ્ટતા કરવી જોઈએ એવી લોકલાગણી જોવા મળી રહી છે.