Mysamachar.in-જામનગર:
જામનગર શહેર-જિલ્લામાં પૂરવઠાતંત્ર નામનો કોઈ સરકારી વિભાગ કાર્યરત છે કે કેમ ?! આવો પ્રશ્ન ઘણાં લોકોને થતો હોય છે. ઘણાં જાણકારોનો અનુભવ એવો રહ્યો છે કે, કેટલાંક સરકારી તંત્રો નિષ્ક્રિય રહેવાનો મોટો લાભ પ્રાપ્ત કરતાં હોય છે ! ન મારવાનાં પણ પૈસા – એ સૂત્ર ઘણાં વિભાગોને લાગુ પડતું હોય છે ! પૂરવઠાતંત્રનો ઉલ્લેખ અત્રે એટલા માટે કરવો પડ્યો છે કેમ કે, આ તંત્ર વર્ષનાં 365 દરમિયાન શું મોથ મારે છે ?! એ અંગેની કોઈ જ સતાવાર વિગતો ક્યારેય જાહેર થતી નથી ! આ નિષ્ક્રિયતા સ્વાભાવિક રીતે જ, આપોઆપ શંકાસ્પદ બની રહી છે. જિલ્લામાં પૂરવઠા વિભાગે કરવાની થતી કામગીરી પોલીસતંત્રએ કરવી પડે છે, એ શું દર્શાવે છે ?!
શહેર અને જિલ્લામાં ઘણાં એવાં ગોદામો હોય શકે જ્યાં ઘઉં અને ચોખા જેવાં અનાજોના જથ્થા શંકાસ્પદ રીતે સંગ્રહિત હોય શકે. પરંતુ પૂરવઠા વિભાગના વડાને જાણે કે, આવાં ગોદામો શોધી કાઢવામાં રસ જ નથી. આ પ્રકારના મોટાં જથ્થાનું જિલ્લાનાં માર્ગો પર પરિવહન પણ થતું રહેતું હોય છે પરંતુ પૂરવઠાવિભાગ ક્યાંક અન્ય કામોમાં વ્યસ્ત હોય એવું દેખાઈ રહ્યું છે.તાજેતરમાં જામનગર પોલીસે દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં એવું એક ગોદામ શોધી કાઢ્યું હતું જ્યાં ચોખાનો મોટો જથ્થો સંગ્રહિત થયેલો હતો ! આ શક પડતાં જથ્થા સાથે રાજકોટનાં બે શખ્સો પણ ઝડપાયાં. ત્યારબાદ, કાલે બુધવારે સિક્કા પોલીસે હાઈવે પર જતી એકસાથે ચાર બોલેરોને ઝડપી લીધી જેમાં ઘઉં અને ચોખાનો લાખો રૂપિયાનો જથ્થો શક પડતાં જથ્થા તરીકે મળી આવ્યો. આ કેસમાં દ્વારકા જિલ્લાના સાત શખ્સો વિરૂદ્ધ નિયત કલમો હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે.
સવાલ એ છે કે, આ પ્રકારની હેરાફેરી કે સંગ્રહ પૂરવઠા વિભાગના ધ્યાનમાં કેમ નથી આવતું ? કે, આ વિભાગ સ્વેચ્છાએ લાંબી અને મીઠી નિંદર માણી રહ્યો છે ?! અત્રે એ પણ નોંધનીય છે કે, વાજબી ભાવની દુકાનો કે પેટ્રોલ પંપ જેવાં સ્થળોએ ચેકીંગ જેવી બાબતો પ્રત્યે પણ આ વિભાગને કોઈ લગાવ હોવાનું જોવા મળ્યું નથી. આ પ્રકારના વ્યવસાયોમાં અવારનવાર બબાલો થતી રહેતી હોય છે, આક્ષેપો થતાં હોય છે પરંતુ તમામ પરિસ્થિતિમાં પૂરવઠાવિભાગ ધ્યાનમગ્ન ઋષિની મુદ્રા ધારણ કરી આંખો બંધ રાખીને બેસવાનું પસંદ કરે છે ! જેથી સંબંધિતો પૂરવઠાવિભાગને અલગ દ્રષ્ટિકોણથી નિહાળી રહ્યા છે.
દરેડનાં ચોખાનાં જથ્થાના થોડાં દિવસો પહેલાંનાં કેસ અંગે જિલ્લા પૂરવઠા અધિકારી મકવાણા કહે છે: પોલીસે આ કેસનાં કાગળો હજુ સુધી પૂરવઠા વિભાગને મોકલ્યા નથી. કાગળો આવશે ત્યારે કેસની વિગતો તપાસવામાં આવશે.