Mysamachar.in-જામનગર:
મોરબીમાં ગત્ રવિવારે ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી ઘટનામાં 143 થી વધુ લોકોનો ભોગ લેવાયો જ્યારથી આ ઘટના બની ત્યારથી અલગ અલગ વિભાગો ઘટના અંગે કામે લાગ્યા હતા, એવામાં ગુજરાત સ્ટેટ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના ડીરેક્ટર અને જામનગર ફાયર વિભાગના વડા કે.કે.બિશ્નોઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓની ફાયરવિભાગની ટીમોના 200 જેટલા કર્મચારીઓ અને ફાયર ઓફિસરો 22 બોટ અને 14 ફાયર રેસ્ક્યુ વ્હીકલ અને ફાયર ફાઈટર સાથે દિવસ રાત જોયા વિના લાગી પડ્યા હતા અને રાહત બચાવ કામગીરીમાં જોડાયા હતા અને પુલ તૂટી પડવાથી જે મૃતદેહો પાણીમાં હતા તેને કાઢવાની કામગીરી રવિવારથી માંડીને આજ દિવસ સુધી અવિરત રાખી છે, ફાયરની સાથે સાથે આ કામગીરીમાં એનડીઆરએફ, નેવી અને આર્મીના જવાનો પણ જોડાયા હતા.
એવામાં ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે હતા અને તેવોએ સ્થિતિની સમીક્ષા ઉચ્ચઅધિકારીઓ સાથે કરી હતી, અને ઈજાગ્રસ્તો મૃતકોના પરિવારો સાથે વાતચીત કરી દુખ વ્યક્ત કર્યું હતું. મોરબી ખાતે ઘટનાના દિવસથી જ હાજર રહેલા ગુજરાત સ્ટેટ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના ડીરેક્ટર કે,કે.બિશ્નોઈ સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી અને ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમોએ શું કામગીરી કરી તેનો વન ટુ વન ચિતાર બિશ્નોઈ પાસેથી મેળવ્યો હતો.બિશ્નોઈએ કઈ રીતે ટીમોએ કામગીરી કરી અને કેટલા મૃતદેહો તેમની ટીમો દ્વારા નીકાળવામાં આવ્યા અને હવે શું કામગીરી કરવામાં આવશે તે અંગેની માહિતી વડાપ્રધાનને પૂરી પાડી હતી.