Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં મહાનગરોમાં અને હવે તો નાનાં શહેરોમાં પણ શેરી ગલીઓમાં પણ પ્લે હાઉસ-કીંડર ગાર્ટનનાં પાટીયા ઝૂલતાં જોવા મળે છે. આ પ્રકારના ધંધાર્થીઓએ આગામી દિવસોમાં કેટલીક ચોક્કસ બાબતો માટે તૈયાર રહેવું પડશે. સરકાર તરફથી નિયંત્રણો માટે જરૂરી બાબતો હાથ ધરવામાં આવી છે. આ વ્યવસાય પર નિયંત્રણ રાખવા ગુજરાત સરકાર એક નવી પોલિસી બનાવી રહી છે. જૂનિયર અને સિનિયર KG માં ભણાવતાં શિક્ષકોની લઘુત્તમ શૈક્ષણિક લાયકાતો સહિતના નિયંત્રણો આવશે. આ માટે નિયમો બનાવવામાં આવશે, નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે.હાલ સુધી, પ્રિ-સ્કૂલમાં કોઈ પણ પ્રકારની નિયંત્રક વ્યવસ્થા નથી. સૌ પોતાની પદ્ધતિએ બિઝનેસ કરે છે. ગાંધીનગરસ્થિત શિક્ષણવિભાગનાં સૂત્રો જણાવે છે, હાલમાં આ નિયંત્રણ વ્યવસ્થા માટે શિક્ષણ વિભાગમાં ચર્ચાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં, આ ક્ષેત્રમાં પણ ફી રેગ્યુલેશન સહિતના નિયમો બનાવવામાં આવશે. આ પ્રકારના તમામ પ્લે હાઉસ-કીંડર ગાર્ટન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવશે.
એક અંદાજ અનુસાર, હાલમાં સમગ્ર રાજ્યમાં 40-50હજાર જેટલાં પ્લે હાઉસ-કીંડર ગાર્ટન છે. જેનાં પર તંત્રનું કોઈ જ નિયંત્રણ નથી. લાખો બાળકો આ પ્લે હાઉસ-કીંડર ગાર્ટનમાં અભ્યાસ કરી છે. આ પ્રકારનો વ્યવસાય ઘણાં બધાં ટેનામેન્ટસમાં અને બંગલાઓમાં ચાલી રહ્યો છે. આ વ્યવસાયનાં નિયંત્રણ માટે આમ તો ઘણાં સમયથી તૈયારીઓ ચાલી રહી છે. ડ્રાફ્ટ પણ લગભગ બની ગયો છે. નવી સરકાર આ દિશામાં ઝડપભેર આગળ વધવા ઈચ્છે છે, એમ શિક્ષણવિભાગ જણાવે છે. હાલનો આ ડ્રાફ્ટ સરકારમાં મંજૂરી માટે મૂકવામાં આવશે. સરકાર આ મામલાને પોલિસી તરીકે અથવા એકટ તરીકે પણ અમલમાં મૂકી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020માં પ્રાથમિક શિક્ષણ માટે બે વિભાગ છે. ધોરણ 1થી 5 અને ધોરણ 6 થી 8. ત્રણ પ્રિ-પ્રાઈમરી પેટાવિભાગો નર્સરી, જૂનિયર KG અને સિનિયર KG નો સમાવેશ પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ વિભાગમાં થાય છે. આ વિભાગમાં પ્રિ-પ્રાઇમરી વિભાગમાં રાજ્યમાં કુલ કેટલાં બાળકો છે ? તેનો ચોક્કસ આંકડો હાલ સરકાર પાસે નથી.
હાલમાં પ્લે હાઉસ-કીંડર ગાર્ટનના સંચાલકો ફી નક્કી કરે છે અને ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકોને પણ શિક્ષણ કાર્ય સોંપે છે જેને કારણે બાળકોને આપવામાં આવતાં બેઝિક પ્રાઈમરી શિક્ષણ પર માઠી અસરો જોવા મળે છે. અત્રે નોંધનીય છે કે, હાલમાં વાલીઓ પાસેથી વર્ષદીઠ બાળકદીઠ પ્લે હાઉસ-કીંડર ગાર્ટનનાં સંચાલકો રૂ. 10,000 થી માંડીને રૂ. 80,000 સુધીની ફી વસૂલે છે ! જેનાં પર નિયંત્રણ આવશે. વાલીઓને રાહત મળવા સંભવ છે.