Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાએ વિવિધ પ્રોજેક્ટ્સના પ્લાનિંગ માટે એક અલાયદી શાખા રાખી છે પરંતુ આ શાખામાં પ્લાનિંગ ‘એડવાન્સ’ ન થતું હોવાની વિગતો રેકર્ડ પર આવી છે, ખરેખર તો શાસકપાંખે આ શાખાને ‘એડવાન્સ’ બનાવવા તથા રાખવા યોગ્ય સમયે શાખાને આવનારા પ્રોજેક્ટ્સ અંગે ‘રેડી’ રાખવી જોઈએ- એવો મત જાણકારો એટલા માટે વ્યક્ત કરી રહ્યા છે કેમ કે, મહાનગરપાલિકા હાલમાં ચોમાસાના સમયમાં એક કામ કરી રહી છે, જે કામ ચોમાસા અગાઉ પણ પૂર્ણ થઈ શકે એમ હતું.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ન્યૂ સ્કૂલ પાછળના ભાગમાં નહેરના કાંઠા તરીકે ઓળખાતા વિસ્તારમાં હાલ ફિડિંગ કેનાલનું સિમેન્ટ કોંક્રીટ કામ ચાલી રહ્યું છે. આ કેનાલની લંબાઈ દોઢસો મીટર જેટલી છે અને આશરે દોઢેક કરોડનું આ કામ વિલંબથી એવા સમયે શરૂ કરવામાં આવ્યું કે, આજે ચોમાસાના સમયમાં આ કામ કરવું પડે છે. અહીં અગાઉ પથ્થરની દીવાલ ધરાવતી કેનાલ હતી, કેનાલની આ દીવાલો હાલ સિમેન્ટ કોંક્રીટની બનાવવામાં આવી રહી છે.
સામાન્ય લોકોની સામાન્ય સમજ એવી છે કે, કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું હોય તો સામાન્ય રીતે ચોમાસા સિવાયનો એટલે કે ઓક્ટોબરથી મે મહિનાનો સમયગાળો પસંદ કરવામાં આવતો હોય છે. પરંતુ મહાનગરપાલિકાએ કેનાલનું આ કામ છેક મે મહિનામાં શરૂ કર્યું અને 10-15 જૂન પહેલાં એટલે કે ચોમાસા અગાઉ આ કામ પૂર્ણ કરાવી શકી નથી. જેને કારણે આજે ચોમાસામાં પણ મહાનગરપાલિકા આ કામ કરી રહી છે. ટેન્ડરીંગ સહિતની પ્રક્રિયાઓ મહાનગરપાલિકાએ ખરેખર તો વહેલી કરવા અંગે ધ્યાન આપવાની આવશ્યકતા હતી, એમ સામાન્ય સમજના આધારે કહી શકાય.
-વરસાદ આવે તો તાલપત્રી ઢાંકીને કામ કરીએ…!!
મહાનગરપાલિકાની ફિલોસોફી ગજબ છે. ચોમાસા અગાઉ સિવિલ વર્ક પૂર્ણ કરી લેવાની ચુસ્તી દેખાડવાને બદલે મહાનગરપાલિકાએ આ ચાલુ કામ બાબતે આપેલો જવાબ જાણવા જેવો છે. આ કામ ચોમાસા અગાઉ એડવાન્સ ન કરી શકાયું હોત ? એવો પ્રશ્ન આજે સવારે કોર્પોરેશનના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના અધિકારી રાજીવ જાનીને પૂછવામાં આવતા તેમણે એકદમ હળવા હૈયે કહ્યું કે, વરસાદ આવતો નથી અને વરસાદ આવશે તો આપણી પાસે તાલપત્રીની વ્યવસ્થાઓ છે ! અને, આ કામ ચાલુ છે પણ કેનાલના વોટરફલોને કોઈ અસર નહીં થાય, વધારાનું વરસાદી પાણી તળાવ સુધી પહોંચી જશે. ટૂંકમાં, મહાનગરપાલિકાની ફિલોસોફી એવી છે કે- ચાલુ કામે ભલે તાલપત્રી ઢાંકવી પડે, કામ ચોમાસામાં જ કરવું !! કોર્પોરેશનની આ લબડધકકા માનસિકતાની નગરજનોમાં ચર્ચાઓ અને ટીકાઓ થઈ રહી છે.