Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોના મોત ઉપરાંત આ વિમાન જે જગ્યાએ પડ્યું હતું ત્યાં પણ અન્ય 33 લોકોના મોત થયા છે એમ હવે સત્તાવાર જાહેર થઈ ગયું છે અને તેથી મોતનો કુલ આંક 274 થયો છે. આ ઉપરાંત બનાવના સ્થળ આસપાસના કેટલાંક લોકો આ દુર્ઘટનાને કારણે હજુ પણ ‘ગૂમ’ હોવાની જાણકારીઓ સામે આવી છે.
વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 241 મુસાફરો ઉપરાંત અન્ય 33 લોકોના પણ મોત થઈ ગયાની વિગતો રેકર્ડ પર આવી છે. દરમ્યાન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, આ અકસ્માતમાં જે લોકોના મોત જમીન પર થયા છે તે લોકોના પરિવારજનોને પણ મોત વળતર આપવામાં આવે.
IMAએ પત્રમાં લખ્યું છે કે, જે મેડિકલ હોસ્ટેલ પર વિમાન તૂટી પડ્યું ત્યાંના મોતને ભેટેલા તાલીમી તબીબોના પરિવારજનોને અને જેમને ઈજાઓ પહોંચી છે તે તમામને તાતા કંપનીએ આર્થિક સહાય તથા મેડિકલ સારવાર આપવી જોઈએ. આ પત્ર IMA પ્રેસિડેન્ટ ડો. મેહુલ શાહ દ્વારા લખવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, એરપોર્ટ રન-વે થી 3 કિલોમીટર દૂર આવેલી મેડિકલ હોસ્ટેલ પર વિમાન સળગીને પડી ગયું હતું. બનાવના 28 કલાક બાદ એટલે કે 13મી જૂને સાંજે આ ઈમારતની છત પરથી વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. હવે તેના આધારે તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે. આ બોક્સમાં ફ્લાઇટ અને કોકપીટના રેકોર્ડર હોય છે.