Mysamachar.in:જામનગર
સામાન્ય રીતે સરકારી વિભાગો ફાલતૂ કાર્યક્રમોનો ઉત્સાહભેર પ્રચાર કરવાની માનસિકતા ધરાવતાં હોય છે પરંતુ જે બાબતો સંવેદનશીલ હોય અથવા નાગરિકો સાથે સીધી સંકળાયેલી હોય અથવા સરકારી વિભાગોની મીઠી નજર તળે છૂપાવી શકાતી હોય, તેવી માહિતીઓ અને વિગતો જાહેર કરવામાં સરકારી વિભાગોને પેટમાં ચૂંક ઉપડતી હોય છે ! જામનગરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ આ પ્રકારનો એક સરકારી વિભાગ છે. જે ઘણું બધું છૂપાવવા ઘણી બધી મથામણોમાં વ્યસ્ત રહે છે ! દાખલા તરીકે, કોઈ પણ ખાનગી સ્કૂલ ફી નું શું ધોરણ ધરાવે છે ? તે વિગતો હજારો વાલીઓ માટે મહત્ત્વની હોય છે પરંતુ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આ વિગતો છૂપાવવા ભરચક્ક પ્રયાસો કરે છે !
ખાનગી શાળાઓમાં લેવાતી ફી તથા આ ફીના ધોરણમાં વર્ષોવર્ષ કરવામાં આવતાં વધારાને નિયંત્રણમાં રાખવા સરકારે પાંચ વર્ષથી ફી નિર્ધારણ સમિતિ (FRC)ની રચના કરી છે. જો કે આ સમિતિ પણ સરકારી હોવાથી ખાનગી શાળાઓનાં ધંધાદારી સંચાલકો આ સમિતિ પાસે ધાર્યું કરાવી લ્યે છે ! તેવી ચર્ચાઓ ચાલે છે ફી માં મનગમતાં વધારા મંજૂર કરાવી લ્યે છે અને એ રીતે ખાનગી શાળાઓ વાલીઓને, જામનગરમાં પણ બેફામ લૂંટે છે ! અચરજની વાત એ છે કે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આ સંવેદનશીલ વિગતો પર પડદો જ રહે, એ માટે પુષ્કળ પ્રયાસો કરે છે !
માય સમાચાર ડોટ ઈન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પૂછવામાં આવ્યું હતું કે, જામનગરમાં જે ખાનગી શાળાઓ વર્ષ દરમિયાન તોતિંગ ફી વસૂલી વાલીઓનાં ખિસ્સા ખંખેરી રહી છે તેવી ટોપ ટ્વેન્ટી શાળાઓનાં નામો અને આ શાળાઓનાં ફી નાં ધોરણની વિગતો આપો. અચરજ એ વાતનું છે કે, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટે એમ કહ્યું કે, ફી નિર્ધારણ સમિતિ ફી નક્કી કરે છે અને તે માટેનાં પત્રો સીધાં જ જેતે શાળાઓને મોકલી આપે છે. શાળાઓની ફી ની વિગતો અમારી કચેરી પાસે નથી ! અત્રે પ્રશ્ન એ છે કે, જિલ્લા શિક્ષણાધિકારી ફી ની આ વિગતો શા માટે છૂપાવે છે ? આ અધિકારીનાં પેટમાં કોઈ પાપ છે ?!
બાદમાં માય સમાચાર ડોટ ઈન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને કહેવામાં આવ્યું કે, ખાનગી શાળાઓની તોતિંગ ફી ની વિગતો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાસે નથી, એવાં સમાચાર લખીશું તો તમને પસંદ પડશે ?! આટલું કહેતાં જ, જિલ્લા શિક્ષણાધિકારી સાનમાં સમજી ગયા ! અને એમણે કહ્યું : તમારે જે શાળાઓની વિગતો જોઈતી હોય, એ શાળાઓનાં નામોની યાદી આપો !
અત્રે મહત્વનો મુદ્દો એ છે કે, જિલ્લા શિક્ષણાધિકારી માય સમાચાર ડોટ ઈન નાં કડક વલણથી શા માટે ડરી ગયાં ? શા માટે તેઓએ પ્રથમ ખોટો જવાબ આપ્યો ?! શા માટે તેઓ ખાનગી શાળાઓનાં સંચાલકોને છાવરી રહ્યા છે ?! તેઓનો આશય શું હતો ?! અન્ય એક મહત્વનો મુદ્દો એ છે કે, ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી કેટલી ફી વસૂલે છે ? દર વર્ષે ફી માં કેટલાં વધારા મંજૂર કરાવી લ્યે છે ?! અને કઈ શાળા ફી નિર્ધારણ સમિતિ પાસે ધાર્યું કરાવવામાં દર વર્ષે કેટલી સફળ રહે છે ? અને કઈ શાળા દર વર્ષે ફી માં કેટલાં વધારા ઝીંકે છે ?!
આ તમામ બાબતો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ફાઈલોમાં કેદ છે. આ તમામ વિગતો લાખો વાલીઓનાં લાભાર્થે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ જાહેર કરવી જોઈએ, જો તેઓ પારદર્શક વહીવટનું ઉદાહરણ પેશ કરવા ઈચ્છતા હોય તો. તેને બદલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આ વિગતો છૂપાવવા માટે બાલિશ પ્રયાસો કરે છે, તે જ દર્શાવે છે કે – તોતિંગ ફી વસૂલતી ખાનગી શાળાઓનાં સંચાલકો પ્રત્યે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સોફ્ટ કોર્નર ધરાવે છે ! આ પ્રકારની કૂણી લાગણીઓ પાછળનો હેતુ શું હોય શકે ?! તે સમજવું અઘરૂં નથી.
-તોતિંગ ફી વસૂલતી ખાનગી શાળાઓનાં પરિણામો તેજસ્વી શા માટે નથી હોતાં ?!
અત્રે નોંધનીય છે કે, જામનગરમાં સંખ્યાબંધ એવી ખાનગી શાળાઓ છે, જે વાલીઓ પાસેથી તોતિંગ ફી વસૂલી રહી છે પરંતુ ધોરણ 10 અને 12 નાં બોર્ડ પરિણામો, CBSE બોર્ડના પરિણામો તથા NEET અને JEE જેવી પરીક્ષાઓનાં પરિણામો જાહેર થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે, આ ખાનગી શાળાઓમાંથી માત્ર ગણ્યાગાંઠ્યા છાત્રો તથા છાત્રાઓ જ સારૂં પરિણામ પ્રાપ્ત કરે છે અને તે પણ પોતાની અંગત તેજસ્વીતા ને કારણે. ખાનગી શાળાઓનાં સરેરાશ પરીક્ષાર્થીઓ સરેરાશ પરિણામ સાથે ઉતીર્ણ થાય છે ! આવી ખાનગી શાળાઓનાં શિક્ષણનું સ્તર આ પરિણામો પરથી સમજી શકાય છે. અને, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જિલ્લામાં શિક્ષણનાં સ્તરને ઉચું લાવવા કશું જ કરતી નથી એવું સરેરાશ પરિણામો પરથી સમજી શકાય છે, સ્પષ્ટ રીતે !
અને, બીજો મુદ્દો એ છે કે – અમારી પાસે કામો નિપટાવવા સમયનો અભાવ છે એવો પ્રચાર કરતી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાનગી શાળાઓનાં જાહેર કાર્યક્રમોમાં કલાકો સુધી શાળા સંચાલકો સાથે ગપ્પાંઓ શા માટે લગાવે છે ?! આ સમય તેઓએ કચેરીમાં આપવો જોઈએ તો લોકોને ઉપયોગી એવાં કામો કરી શકાય, જિલ્લામાં શિક્ષણનાં સ્તરને ઉચું લાવવા કાંઈક પરિણામલક્ષી કામગીરી કરી શકાય. આટલી સરળ વાતો જિલ્લા શિક્ષણાધિકારી સમજી શકતાં નથી ! એ પણ મોટું અચરજ જ છે.