Mysamachar.in-જામનગર:
જામનગરની ક્રિષ્ના સ્કૂલ વિરુદ્ધ આકરી કાર્યવાહીના સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સ્કૂલમાં જાહેર રજાના દિવસે પણ નિયમભંગ કરીને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવેલું તેનો પુરાવો રેકર્ડ પર આવી ગયો હોય, ક્રિષ્ના સ્કૂલ વિરુદ્ધ પગલાંઓ નિશ્ચિત બની ચૂક્યા છે.ક્રિષ્ના સ્કૂલમાં ચેટી ચાંદની જાહેર રજાના દિવસે પણ સંચાલકોએ સરકારી નિયમ બાજુ પર રાખીને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખેલું. આથી NSUI અને શહેર યુવક કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકરો સ્કૂલ પર પહોંચી ગયા હતાં અને શૈક્ષણિક કાર્ય બંધ કરવા અંગે સંચાલકો સાથે વાતચીત કર્યા બાદ આ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવેલું.
દરમિયાન, સ્કૂલના મેનેજમેન્ટે મીડિયા સમક્ષ કબૂલાત પણ આપેલી કે, હા રજા છતાં શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. આ કબૂલાત સમયે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના પ્રતિનિધિ પણ ઉપસ્થિત હતાં. તેથી હવે આ સ્કૂલ વિરુદ્ધ પગલાંઓ લેવાશે તે નક્કી થઈ ગયું છે.
Mysamachar.in સાથેની વાતચીતમાં DEO ભરત વિડજા કહે છે: આ સ્કૂલમાં રજાના દિવસે પણ શૈક્ષણિક કાર્ય ચાલુ હોવા અંગેનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. સંચાલકની કબૂલાત પણ રેકર્ડ પર છે અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અમારી કચેરીના પ્રતિનિધિને પણ ત્યાં મોકલવામાં આવેલાં. જો કે આમ છતાં સરકારના નિયમ અનુસાર, કાર્યવાહીઓના ભાગરૂપે પ્રથમ આ સ્કૂલને શો-કોઝ નોટિસ આપી, શા માટે પગલાંઓ ન લેવા તે અંગે ખુલાસો પૂછવામાં આવશે અને બાદમાં રિપોર્ટના આધારે તથા રેકર્ડ પરની વિગતો ધ્યાન પર લઈ આગળની કાર્યવાહીઓ કરવામાં આવશે.
આમ આ પ્રકરણમાં જિલ્લા શિક્ષણ વિભાગે આડકતરી રીતે સ્વીકારી લીધું છે કે, આ મામલામાં ક્રિષ્ના સ્કૂલ વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ નિશ્ચિત છે કેમ કે ગુનો સ્વયં સ્પષ્ટ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ સ્કૂલ શિક્ષણ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે વિવાદોમાં રહે છે. પરંતુ આ સ્કૂલ વિરુદ્ધ પગલાંઓ ભરવામાં શિક્ષણ વિભાગ ઉદાસીનતા સેવતો હોવાનું અગાઉ જાણવા મળેલું, આ વખતે શિક્ષણ વિભાગ આકરાં પગલાંઓ લેવાની માનસિકતા ધરાવે છે અને દાખલારૂપ કાર્યવાહીઓ થશે એવું હાલ દેખાઈ રહ્યું છે.