Mysamachar.in-જામનગર:
જામનગરમાં ઘણાં સ્થળો એવા છે જયાં અગાઉના વર્ષોની સરખામણીએ આજે જમીનોના ભાવ અનેકગણાં છે. આ પ્રકારની જમીનો પર હાઉસિંગ બોર્ડના અથવા મહાનગરપાલિકાના જર્જરિત આવાસો છે. આ રહેવાસીઓને કોઈ પણ રીતે અન્ય સ્થળોએ નવા મકાનો ફાળવી દેવામાં આવે તો, હાલમાં શહેર વચ્ચે આવેલા આ હાઉસિંગ બોર્ડના મકાનોના સ્થાને રિ-ડેવલપમેન્ટ પ્લાન હેઠળ લગડી ફલેટસ બનાવી શકાય અને તગડો નફો સેરવી શકાય, એ ગણતરીએ શહેરમાં ખાનગીમાં ખેલ ચાલતાં હોવાનું કહેવાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રણજિતનગર- હીરજી મિસ્ત્રી રોડના કોર્નર પર આવો એક ખેલ પડી ગયો છે, જયાં અમદાવાદની ખાનગી પાર્ટી કરોડો રૂપિયાના ફલેટસ બનાવી વેચશે. નફો અંકે કરી લેશે. હાઉસિંગ બોર્ડની આ જૂની પણ લગડી જમીનનું વંદે માતરમ કરી નાંખવામાં આવ્યું છે. આવો જ ખેલ સાધના કોલોની, રણજિતનગર કે પછી, અંધાશ્રમ આવાસ મામલામાં પડી શકે છે !! એવી ચર્ચાઓ શરૂ થઈ છે.
જૂની સાધના કોલોની વિસ્તાર પણ આજે રણજિતસાગર રોડ ભારે વિકાસ પામતાં, લગડી જમીન બની ગઈ છે. તેના પર પણ કોઈનો ડોળો હોય શકે છે. જૂની સાધના કોલોનીમાં રહેવાસીઓની એક બેઠક પણ મળી હતી. તેમાં એવું નક્કી થયું કે, જો સરકાર રિ-ડેવલપમેન્ટ પ્લાન હેઠળ લોકોને ફોસલાવીને અન્ય સ્થળોએ નવા ફલેટસ આપે તો આપણે અહીંથી જવાનું નથી. નવા ફલેટસ અહીં જ મેળવવાના છે અને એ પણ, વધારાનો એકેય રુપિયો આપ્યા વગર. જે ફલેટસધારકો પાસે કબજો છે પણ દસ્તાવેજ નથી, તેવા લોકો માટે તથા અહીંના દુકાનધારકો માટે પણ સરકારે કાંઈક વિચારવું જોઈએ કેમ કે તેઓ વરસોથી અહીં વસવાટ અને ધંધો કરે છે, એવી પણ આ બેઠકમાં ચર્ચાઓ થઈ હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અંધાશ્રમ આવાસ રિ-ડેવલપમેન્ટ પ્લાન હાલ ઠંડો પડી ગયો છે, સાધના કોલોની હાઉસિંગ બોર્ડ જર્જરિત મકાનો મુદ્દે મૌન છે, એવા સમયે જૂની સાધના કોલોની ખાતે યોજાયેલી રહેવાસીઓની આ બેઠક આગામી દિવસોમાં કોઈ નવાજૂનીના સંકેતો આપે છે ?! એવી પણ ચર્ચાઓ થઈ રહી છે !!