Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેશના પશ્ચિમના છેવાડાના એવા સંવેદનશીલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં કરાતા ફિશિંગ સંદર્ભે સરકારી તંત્ર દ્વારા આકરા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. અગાઉના વર્ષોમાં અહીં ફિશિંગ કરતા શખ્સો દ્વારા અનધિકૃત રીતે પ્રતિબંધિત ચીજ વસ્તુઓ દેશમાં લાવી અને લેન્ડિંગ કરાયાનું પણ ખુલવા પામ્યું છે. ત્યારે તાજેતરમાં ઓખા મંડળ વિસ્તારમાંથી ફિશિંગ કન્સલ્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બે શખ્સોએ સુનિયોજિત કાવતરું રચી અને નવી બોટ માટે ગેરકાયદેસર રીતે રજીસ્ટ્રેશન, કોલ લાયસન્સ સહિત આચરવામાં આવેલા કૌભાંડમાં રૂપિયા ત્રણેક કરોડ જેટલી રકમના કૌભાંડનો પર્દાફાસ કરવામાં જિલ્લા એસ.ઓ.જી. પોલીસને સફળતા મળી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી સિલસિલા બંધ વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા હાલની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ ચેકિંગ કાર્યવાહી વધુ સધન બનાવવામાં આવી છે. જેના સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.ઓ.જી. વિભાગના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક દિવસોથી દ્વારકા, ઓખા વિસ્તારમાં પેટ્રોલિંગ અંગેની કામગીરી હાથ વધારવામાં આવી હતી. તે દરમિયાન એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખામાં આવેલા આર.કે બંદર ખાતે માછીમારી બોટના ફિશિંગ વિભાગને લગતી કામગીરી કરતા ખાનગી એજન્ટ એવા “રહેમત ફિશિંગ કન્સલ્ટિંગ” નામથી ઓફિસ ધરાવતો શાફીન સબીરભાઈ ભટ્ટી (રહે. ગાંધીનગરી, ઓખા) તેમજ “રામદૂત ઝેરોક્ષ” નામથી ફિશિંગ કન્સલ્ટિંગ તેમજ ઝેરોક્ષની દુકાન ધરાવતો સુનિલ મનસુખભાઈ નિમાવત (રહે. નવીનગરી – ઓખા) નામના બે પક્ષોની અટકાયત કરી અને બોટ કૌભાંડની સિલસિલાબંધ વિગતો મેળવી હતી.
જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઉપરોક્ત બંને શખ્સો દ્વારા અલગ અલગ માછીમારી બોટના માલિકો સાથે મળી અને જૂની માછીમારી બોટ તથા બિલ વગર ખરીદ કરવામાં આવેલી માછીમારી બોટ અને એન્જિન ખરીદીના બનાવટી બિલો બનાવવામાં આવતા હતા. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા ખોટા સોગંદનામાં ઊભા કરી અને ગેરકાયદેસર રીતે જૂની માછીમારી બોટના નવા કોલ લાયસન્સ કાઢી આપી અને કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે.
ઉપરોક્ત બંને શખ્સોની ઓફિસ – દુકાનમાં તપાસ દરમિયાન નવી માછીમારી બોટના રજીસ્ટ્રેશન કરાવ્યા અંગેના શંકાસ્પદ કોલ લાયસન્સ તથા બોટ એન્જિન ખરીદી અંગેના શંકાસ્પદ બનાવટી બિલો મળી આવ્યા હતા. જે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી અને અહીંથી મળી આવેલા તમામ ખરીદીના બિલો તથા બોટના કોલ લાયસન્સ કબજે કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડનો આંકડો રૂ. ત્રણ કરોડ સુધી પહોંચ્યો હોવાનું પણ જાહેર થયું છે.
આ અંગેની કાયદેસરની કાર્યવાહી કરી અને બિલો અંગે પ્રાથમિક તપાસ કરતા તમામ બનાવટી બીલોના આધારે ફિશિંગ વિભાગમાં કુલ 93 નવી માછીમારી બોટના રજીસ્ટ્રેશન થયા હોવાનું પણ જણાવાયું છે. જેથી વધુ તપાસ અર્થે બંને આરોપીઓ શાફીન ભટ્ટી અને સુનિલ નિમાવતની સાથે 93 બોટ માલિકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની જુદી જુદી કલમ હેઠળ ઓખા મરણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં પોલીસે ઉપરોક્ત બંને આરોપીઓ ઉપરાંત અન્ય આરોપીઓ હમીર હુસેન અલાયા સુંભણીયા , આસીફ રજાક સુંભણીયા, રજાક હુસેન અલાયા સુંભણીયા, રજાક હુસેન દાઉદ સંઘાર , અલી મુસા જુમા સુંભણીયા, હાજી ઈબ્રાહીમ જુમા લુચાણી, અસગર ઈબ્રાહિમ ઉમર ભેસલીયા, આસિફ હાસમ આમદ લુચાણી અને કાદર દાઉદ સુલેમાન નામના અન્ય નવ શખ્સો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.ઉપરોક્ત તમામ 11 શખ્સોની અટકાયત કરી, એસ.ઓ.જી. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બોટ માલિકો, એજન્ટો કે બીજા કોઈ શખ્સો અંગેની માહિતી મેળવવા માટે પણ આગળની કાર્યવાહી કરી હતી. (તસ્વીર અહેવાલ કુંજન રાડિયા)