Mysamachar.in:ગુજરાત
ટેકનોલોજીનો વ્યાપ વધવાથી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ તથા દુરૂપયોગ અનિયંત્રિત રીતે વધી જવાથી, ગુજરાતમાં સાયબર અપરાધોની સંખ્યામાં રાક્ષસી વધારો જોવા મળી રહ્યો છે ! સાયબર અપરાધો રોકવામાં સત્તાવાળાઓને ધારી સફળતા મળી રહી નથી અને, પોલીસતંત્રનું આધુનિકરણ પણ આ પ્રકારના અપરાધોની સંખ્યામાં ઘટાડો કરી શક્યું નથી, એ ચિંતાનો વિષય લેખાવી શકાય. માત્ર આર્થિક અપરાધો જ નહીં, અન્ય સાયબર અપરાધો પણ બેફામ રીતે વધી રહ્યા છે !
એક રિપોર્ટ અનુસાર, પાછલાં બે જ વર્ષમાં ગુજરાતમાં સાયબર ક્રાઇમની સંખ્યામાં 368 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે ! સોશિયલ મીડિયા પર મહિલાસંબંધી અપરાધોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, મહિલાઓમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ નોંધપાત્ર પ્રમાણમાં વધતો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં સાયબર ક્રાઇમની વાત કરીએ તો, માત્ર આર્થિક ગુનાઓ જ નથી વધ્યા. સાયબર બુલિંગ, ધમકીઓ અને મહિલાઓ વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં સેક્સ્યુઅલ મટિરિયલ અપલોડ અને શેયર કરવાનાં અપરાધોની સંખ્યામાં વધારો થયો છે ! મહિલા સંબંધિત ગુનાઓની સંખ્યા અને તેનું પ્રમાણ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે ! મહિલાઓ પણ સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરી રહી છે. વધુ પડતો ઉપયોગ પણ કરી રહી છે. મહિલાઓ સોશ્યલ મીડિયા પર વધુ પડતી છૂટ પણ લઈ રહી છે, સંપર્કો વિસ્તારી રહી છે. આ પ્રકારના ઘણાં કારણોને લઈને સાયબર ક્રાઇમ આંકડાઓ તોતિંગ બની રહ્યા છે.
સાયબર ક્રાઇમ વિભાગમાં વર્ષ 2022માં સોશિયલ મીડિયા સંબંધિત કુલ 5,228 કેસ દાખલ થયાં છે. જે પૈકી લગભગ 80 ટકા કેસો એવાં છે જેમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓ સંકળાયેલી છે. 2017થી 2020 દરમિયાન પણ સાયબર ક્રાઇમ કેસોમાં વધારો થયો હતો. 2020 સુધીમાં જે 781 કેસો નોંધાયા તેમાં દરેકમાં મહિલાઓ છે !
2021માં CID ક્રાઈમ દ્વારા 32 અને 2022 માં 46 કેસ એવાં નોંધવામાં આવ્યા જેમાં ફેક આઈડી દ્વારા ફેક રિલેશનશિપ ડેવલોપ કરવામાં આવેલી અને મહિલાઓની જાતીય સતામણી કરવામાં આવી. ગુજરાતમાં 2021માં સાયબર ક્રાઇમનો આંકડો 17,237 હતો તે 368 ટકા વધીને 2022માં 80,681 થઈ જવા પામતાં પોલીસ વિભાગ ચોંકી ઉઠ્યો છે. માત્ર આર્થિક છેતરપિંડીની વાત કરીએ તો, 2021માં આ આંકડો 11,131 હતો તે 2022માં 530 ટકા વધીને 70,183 નોંધાયો છે ! સાયબર ક્રાઇમ વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું કે, સૌથી મોટું ષડ્યંત્ર કસ્ટમર કેર નંબરમાં ચાલે છે. વિવિધ સેવાઓ અને સુવિધાઓ સંદર્ભે કસ્ટમર કેર નંબરનો સંપર્ક કરનારાઓ મોટાં પ્રમાણમાં ફસાયા છે !
ખાસ કરીને બેંક, એરલાઇન્સ તથા હોસ્પિટલ સહિતની સેવાઓ અને સુવિધાઓમાં કસ્ટમર કેર નંબરનો સંપર્ક કરતાં પહેલાં લોકોએ ખાતરી કરવી જોઈએ કે, આ નંબર તથા વેબસાઈટ અધિકૃત છે કે કેમ ? ગુજરાતનો સાયબર ક્રાઇમ નિયંત્રણ વિભાગ જુદાંજુદાં સર્ચ એન્જિન પરની આ પ્રકારની વિવિધ વેબસાઈટનાં પ્રથમ પેજ પર ખાસ નજર રાખી રહ્યો છે કેમ કે, આ સ્થળે દર્શાવવામાં આવતાં નંબરો પરથી સાયબર ક્રાઇમ શરૂ થવાની શક્યતાઓ વધુ જોવા મળે છે. અધિકારીઓ કહે છે: મોટેભાગે લાલચુ, ભયભીત અને આળસુ લોકો સાયબર અપરાધનો ભોગ વધુ બનતાં હોય છે. કેમ કે, તેઓ કન્ફર્મેશન પ્રોસેસમાં જતાં નથી. ઉતાવળે વાતચીત તથા ટ્રાન્ઝેકશન શરૂ કરે છે, પછી ફસાઈ જાય છે અને છેલ્લે પસ્તાય છે. કોરોનાકાળ પછી ઓનલાઇન એક્ટિવીટી વધતાં સાયબર ક્રાઇમ પણ વધ્યા છે.