Mysamachar.in:જામનગર
જામનગરમાં હાલમાં સાત રસ્તાથી સુભાષ બ્રિજ સુધી ફલાયઓવરનું કામ ચાલુ છે. આ રોડ પર હાલ માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલર અવરજવર કરી શકે તે માટેનું જાહેરનામું અમલમાં છે. જ્યારે ભારે વાહનો અને સરકારી તથા ખાનગી બસો અવરજવર માટે સાત રસ્તાથી ટાઉનહોલ અને બેડી ગેઈટ થઈ પસાર થઈ શકે છે પરંતુ હાલમાં શ્રાવણ માસ ચાલી રહયો હોય, લોકમેળાને ધ્યાનમાં રાખી આ રૂટ પર (સાત રસ્તાથી ટાઉનહોલ) ટ્રાફિક મેનેજમેન્ટ કરવા સાત રસ્તાથી જિલ્લા પંચાયત કચેરી સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ દરખાસ્ત કરવામાં આવેલી જે અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં કહેવાયું છે કે, જામનગર શહેરમાં તા. 6/9/2023 થી તા. 14/9/2023 સુધી સવારના 09 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી, કુલ નવ દિવસ માટે, સાત રસ્તાથી જિલ્લા પંચાયત કચેરી સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિ રહેશે. ભારે વાહનો સિવાયના વાહનો આ તારીખો દરમિયાન કોઈ પણ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે. પરંતુ ભારે વાહનોએ આ જાહેરનામાના અમલ દરમિયાન અત્રે દર્શાવેલ વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવાનો રહેશે. ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગો: સાત રસ્તા સર્કલથી એસટી થઈ પવનચકકી થઈ લાલપુર બાયપાસ તરફનો રોડ, સાત રસ્તા સર્કલથી જનતા ફાટક ચોકડી, હરિયા કોલેજ થઈ સાંઢીયા પુલ પર થઈ રાજકોટ તરફનો રોડ. સુભાષ બ્રિજ તરફથી આવતાં ભારે વાહનો અંબર ચોકડી, જીજી હોસ્પિટલ, પંચવટી, સરુ સેકશન રોડ, પાયલોટ બંગલો થઈ સાત રસ્તા તરફ,એસટી ડેપો તરફ જઈ શકશે.
આ જાહેરનામું લોકમેળામાં રોકાયેલા સરકારી વાહનો, આ રસ્તા આજુબાજુ રહેતાં રહેવાસીઓના વાહનો, ફાયર તથા એમ્બ્યુલન્સ જેવા વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ થાય એવા કિસ્સાઓમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અથવા તેથી ઉપરના અધિકારીઓ પગલાં લઈ શકશે. લોકોની જાણ માટે મ્યુનિસિપલ કમિશનર તથા જિલ્લા પોલીસ કચેરીએ આ જાહેરનામાનો પ્રચાર કરવાનો રહેશે. નાયબ કમિશનરે આ માટે બોર્ડ મૂકવાના રહેશે.