Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલ સહિત રાજ્યભરમાં સરકારી હોસ્પિટલોમાં સવારે અને સાંજે લાખો દર્દીઓ રોગનાં નિદાન અને સારવાર માટે ઓપીડીમાં જતાં હોય છે. ખૂબ ગિરદી રહેતી હોય છે. વધુને વધુ લોકોને સરકારી હોસ્પિટલમાં ઓપીડીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકારે અઠવાડિયામાં રવિવાર સિવાયનાં તમામ દિવસો માટે સાંજની ઓપીડીનો સમય 4 થી 6 છે તે લંબાવીને બપોરે 4 થી રાત્રિનાં 8 વાગ્યા સુધી કાર્યરત રાખવા તમામ હોસ્પિટલને આદેશ આપ્યો છે જેનો જામનગર સહિત રાજ્યભરમાં તબીબો દ્વારા વિરોધ થયો છે. રવિવારે સવારે પણ ઓપીડી કાર્યરત રાખવાનાં સરકારનાં આદેશનો પણ તબીબોએ ઉલાળિયો કર્યો છે.
જામનગરની જીજી હોસ્પિટલમાં અગાઉની માફક બપોરની ઓપીડી માત્ર 4 થી 6 સુધી જ ચાલુ છે. રાબેતા મુજબ રવિવારે રજા, ઓપીડી બંધ જ રહે છે. હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડો દિપક તિવારીએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ઓપીડી સંદર્ભે અગાઉ તબીબોએ મૌખિક વિરોધ નોંધાવ્યો હતો અને સોમવારે લેખિતમાં પણ સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તબીબો દર્દીઓને વધુ સમય સેવા સુવિધાઓ આપવા તૈયાર નથી. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ સહિતના શહેરોમાં શનિવારથી જ તબીબોએ સરકારનાં નવા આદેશને માનવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.