Mysamachar.in-ગાંધીનગર:
સૌ જાણે કે, લાખો કિસ્સાઓમાં મોબાઈલ હવે દૂષણ બની ગયો છે. ખાસ કરીને કાચી ઉંમરના છોકરા છોકરીઓમાં આ દૂષણ અભ્યાસ પર પણ અસરો કરે છે. સરકાર ખુદ આ બાબતે ચિંતિત છે. અને, આ સંબંધે લોકોમાં જાગૃતિ લાવવા ચાહે છે. આ જાગૃતિ અભિયાન રાજયભરની શાળાઓમાં શરૂ થશે.
મોબાઈલના વધુ પડતા ઉપયોગની કુટેવને કારણે, શાળા તથા કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોના અભ્યાસ પર માઠી અસરો જોવા મળી રહી છે. આ વિદ્યાર્થીઓને આંખની તકલીફો થઈ રહી છે. વિદ્યાર્થીઓ સતત તાણમાં જિવતા હોય છે કેમ કે, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ માણસના માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ ઉપરાંત ઓનલાઈન કૌભાંડ, છેતરપિંડીઓ, ગુનાઓ અને સેકસનો અતિરેક જેવી બાબતો પણ નાનામોટા સૌ માટે ચિંતાઓના વિષયો છે.
સરકાર આ દિશામાં લોક જાગૃતિ વધારવા ઈચ્છે છે. આ માટે જૂલાઈ મહિનાથી શાળાઓમાં વાલીઓ અને શિક્ષકોની ખાસ મિટિંગ યોજવામાં આવશે. મોબાઈલ સંબંધે સીધા જ બાળકો અને યુવાનોને શિક્ષિત અને જાગૃત કરતા પહેલાં આ સંબંધે પ્રથમ વાલીઓને જાગૃત કરવામાં આવશે. વાલીઓ સમજદાર હોય તેવા પરિવારોમાં બાળકો મોબાઈલના દૂષણથી બચી શકતા હોય છે.
આથી પ્રથમ વાલીઓમાં આ અંગે જાગૃતિ લાવવામાં આવશે. બાદમાં બાળકો અને યુવાઓને પણ મોબાઈલના દૂષણ અંગે શિક્ષિત અને જાગૃત કરવામાં આવશે. સરકાર એમ પણ ઈચ્છે છે કે, આ અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓને પણ સામેલ કરવામાં આવે છે. સરકારી શિક્ષણની GCERT નામની એજન્સી આ દિશામાં અસરકારક કામગીરીઓ કરવા તરફ આગળ વધી રહી છે. આ ઝુંબેશમાં નિષ્ણાંત લોકોની પણ સેવાઓ લેવામાં આવશે. હાલમાં આ પ્રકારની ગતિવિધિઓ ગાંધીનગર કક્ષાએ શરૂ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગતિવિધિઓ અસરકારક રીતે આગળ વધારવામાં આવશે તો તેના સારા પરિણામો આવનારા સમયમાં જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓને આ દૂષણમાંથી બહાર લાવવાની ખાસ આવશ્યકતાઓ છે. દૂષણ ક્રમશ: વધી રહ્યું છે અને તેની માઠી અસરો પણ સમાજ તથા શિક્ષણ ક્ષેત્રમાં જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મોબાઈલની લત ગુનાખોરીમાં પણ વધારો કરી રહી છે. બાળકો અને યુવાઓ તેનો શિકાર પણ બની રહ્યા છે. સમાજમાં જાતીય સંબંધોને કારણે થતા ગુનાઓ અને આર્થિક ગુનાઓનો વિસ્તાર અનિયંત્રિત રીતે વધી રહ્યો છે, આવા સમયમાં મોબાઈલના ઉપયોગ અંગેનું શિક્ષણ સંતાનો તથા વાલીઓ બંને માટે જરૂરી બની ગયું છે.(symbolic image)