Mysamachar.in-જામનગર:
જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વહીવટીતંત્ર સાથે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને હાલની લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં જામનગરની સ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજાઇ હતી. જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ અને જામનગર વેપારી મહામંડળના સુરેશભાઈ તન્ના સહિતના વેપારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા થઇ રહેલ કામગીરી વિશે માહિતી આપી હતી.રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાના અન્ન પુરવઠા વિભાગ દ્વારા નિર્ધારિત શહેર-જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની વિતરણ વ્યવસ્થા અંગેની માહિતી મેળવી અને સૂચનાઓ આપી હતી. ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે હાલમાં પ્રવર્તમાન મહામારી અંગે તંત્રએ ઉઠાવેલ પગલાઓની સરાહના કરી હતી અને માર્કેટિંગ યાર્ડ દ્વારા સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી તેમજ લોકોને આ પરિસ્થિતિની ગંભીરતા સમજી પોતાના ઘરમાં રહેવા અપીલ કરી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પુરવઠો જાળવવામાં પડતી મુશ્કેલીઓ તથા ખેડૂતોને થતી તકલીફો અંગે રજૂઆત કરેલ અને તે સંદર્ભે વ્યવસ્થા જાળવવા સૂચનો કર્યા હતા. જામનગર વેપારી મંડળના પ્રમુખ સુરેશભાઈ તન્નાએ શહેરમાં તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી યોગ્ય વિતરણ વ્યવસ્થાઓ માટે સૂચનો કરેલ અને કોઈ પણ જગ્યા પર વેપારીઓ દ્વારા વધુ ભાવ નહીં લેવામાં આવે તેવી મંત્રીને ખાતરી આપી હતી.
જિલ્લા સમાહર્તા રવિશંકરે આવેલ રજુઆતો અને સૂચનોને ધ્યાને લઇ યોગ્ય કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીની સરાહના કરી અને જ્યાં જરૂર પડે ત્યાં રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે તેમના તરફથી પૂર્ણ સહયોગ મળી રહેશે તેવી ખાતરી આપી હતી. આ સમયે પુરવઠો પૂર્ણ રાખવા માટે માલની હેરફેર કરતા વાહનને અટકાવવામાં નહીં આવે તે બાબતે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી. સાથે જ જીવન આવશ્યક વસ્તુઓ પર જે તે વેપારીઓ હાલમાં વધુ ભાવ લઈ રહ્યા છે તેમના પર તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી.