Mysamachar.in-વડોદરા
આજના સમયમાં કોઈને ક્યારે પણ કોઈની સાથે પ્રેમ થઇ શકે છે, જરૂરી નથી ઉમરનો બાધ નડે…પણ આવા પ્રેમ સબંધો સુરક્ષિત હોય છે, લાંબાગાળા માટે સારા હોય છે કે કેમ તેના પાસાઓનો અભ્યાસ ના થતો હોય તો પરિણામ વિપરીત પણ આવે…આવું બન્યું છે વડોદરામાં જ્યાં એક આધેડને તેનાંથી 30 વર્ષ નાની પ્રેમિકા સાથેનાં અનૈતિક સંબંધોની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચુકવવી પડી છે. યુવતીએ તેનાં પ્રેમીયુવક સાથે મળીને તેમનાં સંબંધોમાં આડખીલીરૂપ બનતાં આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પ્રેમ પ્રકરણનાં આ કરૂણ અંજામે વડોદરાનાં ગોરવા વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. જે રીતે માહિતી પ્રાપ્ત થઇ રહી છે તે પ્રમાણે ગોરવાના જીવાભાઇ ફ્લેટમાં રહેતા 53 વર્ષના આધેડની રવિવારે સાંજે હત્યા કરી દીધેલી હાલતમાં લાશ મળી હતી.
મૃતક આધેડને ૨૨ વર્ષની યુવતી સાથે લગ્ન બાહ્ય સંબંધ બંધાયા બાદ આ યુવતીને અન્ય યુવક સાથે પ્રેમ થઇ જતા આધેડે બંનેના સંબંધો ઇનકાર કર્યો હતો જેથી ઉશ્કેરાઈ જઈ યુવતી અને તેના પ્રેમીએ આધેડની શનિવારે રાત્રે હત્યા કર્યાનો ચોકાવનારો ખુલાસો થયો છે, રામલાલ બેચરભાઈ પટેલ (ઊ.વ. 53)ની લાશ તેમના બંધ ફ્લેટમાંથી મળી આવી હતી. મૃતકને માથામાં હથિયારથી ફટકા મારીને હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે રામલાલ પટેલ અક્ષય પાત્ર ફાઉન્ડેશનમાં છેલ્લા 12 વર્ષથી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. જોકે શનિવારે તેઓને રાજસ્થાન જવાનું હતું, પરંતુ તેઓ રાજસ્થાન ગયા ન હોવાથી તેમના પુત્રે તેમના પિતાની સાથે કામ કરતા કર્મચારી ચિરાગ વંદેરાને ફોન કરતાં ચિરાગ અને અન્ય કર્મચારીઓ રામલાલ પટેલના ઘરે ગયા હતા, જોકે મકાનના દરવાજાનું લોક લગાવેલું હતું અને તેમનું બાઇક પણ ત્યાં જ પડ્યું હતું.
જેથી તાળું તોડી તેઓ મકાનમાં પ્રવેશ્યા હતા. જ્યાં રૂમમાં બેડ પર ઉંધા સૂતેલી હાલતમાં રામલાલ પટેલનો મૃતદેહ જોવા મળ્યો હતો. તેમના માથાના ભાગે વજનદાર હથિયારથી ફટકા માંરી હત્યા કરાઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ મામલે જણાવ્યું કે મૃતક ત્યાં રહેતી કિંજલ પટેલ નામની ૨૨ વર્ષીય યુવતી સાથે લગ્ન બાહ્ય સંબંધ હતા અને આ યુવતી ઘણા વર્ષોથી મૃતકના ઘરે જ રહેતી હતી આ યુવતીને કપડવંજના કૃણાલ મનીષ દુલેરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. કિંજલે બોયફ્રેન્ડ કૃણાલ સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે મૃતકે તેને કૃણાલ સાથે જવાની ના પાડી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. જેના પગલે કંટાળીને યુવતી અને કૃણાલ સાથે મળી શનિવારે રાત્રે રામલાલના ઘરે આવી હત્યા કર્યા બાદ બહારથી ઘરને તાળું મારી જતાં રહ્યાં હતા. પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
-આ રીતે નીપજાવી હત્યા…
કિંજલે પહેલાથી જ પ્લાન બનાવી રાખ્યો હતો અને તેને મનોમન નક્કી કરી લીધું હતું કે રામલાલથી છુટકારો જોઇતો હોવાથી તેમને રસ્તામાંથી હટાવવાનું પ્લાનિંગ કરી કિંજલે કુણાલ ને શનિવારે રાત્રે રામલાલના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ રાત્રિના સુમારે હથોડા જેવા હથિયાર વડે માથાના રામલાલના માથાના ભાગે ઉપરાછાપરી ઘા માર્યા હતા. અને બન્ને બહાર નીકળી ગયા હતા, જતાં પહેલા તેમણે રામલાલનો મોબાઈલ પણ લઈ લીધો હતો.