Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં ગત્ વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. ખાસ કરીને જિલ્લાનાં જામજોધપુર તથા કાલાવડ તાલુકા પર મેઘરાજા વધુ મહેરબાન જોવા મળી રહ્યા છે. આ બંને તાલુકાઓમાં અત્યાર સુધીમાં ચિક્કાર વરસાદ નોંધાયો છે. ગઈકાલે બુધવારે પણ આ બંને તાલુકાઓમાં સારો વરસાદ વરસ્યો હતો.જામજોધપુર તાલુકાના સમાણા તથા શેઠ વડાળા ખાતે આજે સવારે છ વાગ્યે પૂર્ણ થતાં ચોવીસ કલાક દરમ્યાન વધુ ચાર ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. એ જ રીતે કાલાવડ તાલુકાના ખરેડી તથા નવાગામમાં વધુ બબ્બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જામજોધપુરનાં ધ્રાફામાં 60 તથા પરડવામાં વધુ 55 મિમી વરસાદ પડ્યો હતો.
આ સાથે જ બુધવારે જામજોધપુરનાં જામવાડી અને વાંસજાળિયામાં 45-45 મિમી, જામનગર તાલુકાના મોટી બાણુંગારમાં પણ 45 મિમી વરસાદ નોંધાયો હતો. ફલ્લામાં 37 મિમી તથા કાલાવડના નિકાવા માં 40 તથા મોટા પાંચદેવડામાં વધુ 30 મિમી વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાનાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે ઓછોવધતો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.