Mysamachar.in-અમદાવાદ:
માનવજાતનો અત્યાર સુધીનો ઈતિહાસ એ વાતનો સાક્ષી રહ્યો છે કે, પ્રેમ પામવા અથવા વાસના સંતોષવા, પુરૂષ હોય કે સ્ત્રી, કાંઈ પણ કરી શકે છે. ગમે તેવી ક્રૂરતા કે અતિ ઘાતકીપણું પણ આચરી શકે છે. હાલમાં આ પ્રકારના ઉપરાઉપરી 2 મામલાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી અને અરેરાટી ફેલાવી દીધી છે. આવી બાબતોમાં ગુનાખોરી આડો આંક વટાવી રહી છે. આ 2 ચકચારી બનાવ પૈકી 1 બનાવ અમદાવાદના વસ્ત્રાલનો છે અને અન્ય 1 બનાવ પાટણ જિલ્લાના સાંતલપુર પંથકનો છે. પ્રથમ બનાવમાં 2 સંતાનની માતા એવી પ્રેમિકાને તેના જ પ્રેમીએ છરીના ઘા થી રહેંસી નાંખી છે. અને, બીજા બનાવમાં પ્રેમી અને પ્રેમિકાએ સાથે મળી પોતાની લવસ્ટોરી આગળ વધારવા ક્રૂર રીતે, એક સાવ જ નિર્દોષ એવા આધેડની જિંદગી હણી લીધી !
વસ્ત્રાલનો બનાવ એવો છે કે, અશોક પટેલ નામનો એક શખ્સ અંકિતા પ્રજાપતિ નામની એક પરણીતા સાથે સંબંધ ધરાવતો હતો. આ પરણિતાએ પોતાના પતિને એમ કહેલું કે, અશોક તેણીને હેરાન કરે છે અને ધરાર સંબંધ રાખવા ધમકાવે છે. અંકિતાને 14 વર્ષની પુત્રી અને 7 વર્ષનો પુત્ર છે. પતિ ગેરેજ ચલાવે છે. અશોકના ત્રાસથી આ પરિવારે ભાડાના બે ત્રણ મકાન પણ બદલાવવા પડ્યા હતાં. અગાઉ અશોકે ધરારથી અંકિતાને, વાતો કરવા એક મોબાઈલ પણ આપ્યો હતો. બાદમાં જો કે આ મોબાઈલ અંકિતાના પતિએ પોતાની પાસે રાખી લીધો હતો. તે દરમિયાન અંકિતાના પતિ અને ધરાર પ્રેમી અશોક વચ્ચે એક વખત ઝઘડો પણ થયો હતો.

ત્યારબાદ તાજેતરમાં અંકિતાએ પોતાના પતિને ફોનમાં કહ્યું કે, અશોક આપણાં ઘર પાસે આંટાફેરા કરે છે. મને મળવા બોલાવે છે, જો કે મેં તેને મળવાની ના પાડી છે. ત્યારબાદ થોડા કલાક પછી એક પાડોશીએ અંકિતાના પતિને જાણ કરી કે, તમારી પત્નીને કોઈએ છરી મારી દીધી છે. પતિએ ઘરે પહોંચી જોયું તો, પત્ની અંકિતા લોહીલુહાણ હાલતમાં ઘરમાં પડી હતી અને તેણીનું આંતરડુ પેટની બહાર નીકળેલું હતું. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી પણ તે પહેલાં અંકિતાનું મોત થઈ ચૂક્યુ હતું. આ મામલે અંકિતાના પતિ ચંદ્રકાંતે રામોલ પોલીસ સ્ટેશનમાં અશોક પટેલ તથા અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવ્યા બાદ પોલીસે અશોકને ઝડપી લીધો છે.
બીજો બનાવ પાટણ જિલ્લાનો છે. સાંતલપુરના જાખોત્રા ગામની એક પરણિતાએ દ્રશ્યમ ફિલ્મ જોયા બાદ એક ખૂની પ્લાન બનાવ્યો. પોતાના પ્રેમી સાથે ભાગી જવા પોતે આત્મહત્યા કરી છે એવું દેખાડવા એક કાવતરૂં કર્યું. આ કાવતરામાં એક નિર્દોષ આધેડની હત્યા કરી નાંખવામાં આવી ! અને આ મૃતદેહ પેટ્રોલ વડે સળગાવી નાંખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો ! જો કે આ બંને પંખીડા હાલ પોલીસના પિંજરમાં કેદ છે.

જાખોત્રા ગામમાં પોલીસને પચાસેક વર્ષના એક આધેડની લાશ મળી. પુરૂષની આ લાશ પર મહિલાના કપડાં અને પગમાં ઝાંઝરી ! મૃતક વૌવા ગામના હરજીભાઈ સોલંકી છે એવું તપાસમાં બહાર આવ્યું. તપાસ દરમિયાન એ વિગતો પણ બહાર આવી કે, સુરેશ આહિર નામના એક યુવાનની પત્ની ગીતા (22) ગૂમ છે. અને, હરજીભાઈના મૃતદેહ પરનો કેસરી ચણિયો તથા ચાંદીની ઝાંઝરી ગીતાના છે તેમ ગીતાના પરિવારજનોએ પોલીસને અનુમાન તરીકે જણાવ્યું.
બાદમાં પોલીસને જાણમાં આવ્યું કે, ગીતા તો ભરત નામના કોઈ શખ્સ સાથે ભાગી ગઇ છે. 22 વર્ષની ગીતાને એક સંતાન પણ છે. પાછલાં 3 મહિના દરમ્યાન ગીતા અને પાડોશી યુવક ભરત વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો એ વિગત પણ બહાર આવી. ગીતા પ્રેમીને પામવા પતિ તથા સંતાનને છોડી પ્રેમી ભરત સાથે ગઈ છે એ વિગતના આધારે પોલીસે તપાસ આગળ ચલાવી.
બાદમાં પોલીસે જાહેર કર્યું કે, ગીતાએ આ ખૂની ખેલ ફિલ્મ જોઈને ઘડેલો. ગીતાએ પોતે આત્મહત્યા કરી લીધી છે એવું દેખાડવા આધેડના મૃતદેહને પોતાના કપડાં તથા ઝાંઝરી પહેરાવી દીધી હતી. આ મૃતદેહ મેળવવા પ્રેમી ભરતે આસપાસના બરારા, દાત્રાણા સહિતના ગામોમાં મારી નાંખી શકાય એવી વ્યક્તિની તલાશ કરેલી. છેવટે આ પંખીડાઓએ આ આધેડ પર પસંદગી ઉતારી ! ભરત અને ગીતા રાજસ્થાન તરફ ભાગી જવાના હતાં પણ એ પહેલાં ઝડપાઈ ગયા.
