Mysamachar.in-જામનગર:
જામનગરમાં ક્રિષ્ના સ્કૂલ સહિતની કેટલીક સ્કૂલ અવારનવાર રાજ્ય સરકારની તથા સ્થાનિક શિક્ષણ વિભાગની સ્ટેન્ડિંગ સૂચનાઓનું ઉલ્લંઘન કરતી જોવા મળે છે, આમ છતાં જિલ્લાનો શિક્ષણ વિભાગ આવી બાબતો પ્રત્યે કડક વલણ અખત્યાર કરતો ન હોય, લોકોમાં તરેહતરેહની શંકાઓ અને વાતો થતી રહે છે, તે દરમિયાન જામનગર શહેરના ખોડિયાર કોલોની નજીક આવેલ ક્રિષ્ના સ્કૂલ વધુ એક વખત વિવાદમાં આવી છે, આ વખતે શિક્ષણ વિભાગે કડક વલણ અખત્યાર કરવાની જાહેરાત કરી છે. આગામી સમયમાં આ સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી થવાની શકયતાઓ છે. આજે ચેટી ચાંદની જાહેર રજા છતાં સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રહ્યું હતું તેથી વિવાદ ઉભો થયો હતો.
આજે ચેટીચાંદની જાહેર રજા સરકારે જાહેર કરેલી આમ છતાં જામનગરની ક્રિષ્ના સ્કૂલમાં શૈક્ષણિક કામગીરીઓ ચાલુ હતી. આ બાબતની રજૂઆત મળતાં સ્થાનિક NSUI અને શહેર યુવક કોંગ્રેસની ટીમના ડો.તોસીફખાન પઠાણ અને મહિલાપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા સહિતની ટીમ સ્કૂલ પર પહોંચી હતી અને રજામાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવા અંગે સ્કૂલ મેનેજમેન્ટ સાથે વાતચીત કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આમ રંગેહાથ ઝડપાઈ જતાં અંતે સ્કૂલ મેનેજમેન્ટે શૈક્ષણિક કાર્ય બંધ કરાવી વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી. આ મામલો જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ પણ પહોંચ્યો છે.
આ મામલે Mysamachar.in સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષણઅધિકારી ભરત વિડજાએ જણાવ્યું છે કે, ક્રિષ્ના સ્કૂલના આ મામલાની વિગતો કચેરીને મળી છે. આ માટે એક તપાસ ટીમને ક્રિષ્ના સ્કૂલ મોકલવામાં આવી છે, તપાસનો રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટના આધારે સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જ્યારે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જાહેર રજા હોય છે ત્યારે આવી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોય છે તેથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક સ્ટાફમાં સ્કૂલ મેનેજમેન્ટ પ્રત્યે નારાજગીઓ હોય છે. ખાસ કરીને સ્ટાફ કાયદેસરની રજાના લાભથી વંચિત રહેતો હોય છે જેને કારણે સ્કૂલ મેનેજમેન્ટની આવી મનમાનીની વિગતો લીક થઈને જાહેર થઈ જતી હોય છે અને આ પ્રકારની બબાલ ઉભી થતી હોય છે.
ક્રિષ્ના સ્કૂલના આ મામલામાં બધી જ વિગતો જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચી જતાં તેઓ પણ સ્કૂલ મેનેજમેન્ટ પ્રત્યે નારાજ છે અને તપાસનો આદેશ આપ્યો હોય, આગામી સમયમાં શિક્ષણ વિભાગ આ સ્કૂલ વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહીઓ હાથ ધરશે એવું નિશ્ચિત બની ચૂક્યુ હોવાનું જાણવા મળેલ છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ સ્કૂલનું મેનેજમેન્ટ અગાઉ પણ વિવાદોમાં ઘસડાયું છે અને દરેક વખતે NSUI અને શહેર યુવક કોંગ્રેસના હોદ્દેદારોએ સ્કૂલની આવા કારણોસર મુલાકાત લેવી પડી છે. સરકારી રજાઓ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરતી આવી શિક્ષણ સંસ્થાઓ પર સરકારના શિક્ષણ વિભાગે નિયમભંગ સંબંધે કાયદેસરની કાર્યવાહીઓ કડકાઈથી અને તટસ્થ રીતે કરવી જોઈએ એવો મત ઘણાં બધાં લોકો ધરાવે છે ત્યારે, આ મામલામાં હવે શું બને છે તેના પર સૌની નજર છે.