Mysamachar.in:જામનગર
કેન્દ્ર સરકારનાં શહેરી વિકાસ વિભાગ દ્વારા દેશભરમાં, જામનગર સહિત 266 શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ-2022 અંતર્ગત ઓનલાઇન સર્વે ચાલી રહ્યો છે, જેમાં નગરજનોએ ઓનલાઇન ફીડબેક આપવાનું હોય છે. જામનગરમાં અત્યાર સુધીમાં અંદાજે 5,200 જેટલાં નગરજનોએ ફીડબેક આપ્યું છે. વધુ ને વધુ લોકો આમાં જોડાય અને એ રીતે સર્વેનાં માધ્યમથી જામનગરને નંબર વન બનાવવા મહાનગરપાલિકાનાં મેયર સહિતના પદાધિકારીઓ અને કમિશનર સહિતના અધિકારીઓએ નગરજનોને અનુરોધ કર્યો છે. આ વિષયનાં વધુ પ્રચાર પ્રસાર માટે આજે શુક્રવારે સવારે મહાનગર સેવાસદનની ઈમારતમાં સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનિષ કટારિયા, કમિશનર વિજય ખરાડી અને નાયબ કમિશનર ભાવેશ જાની તેમજ કોર્પોરેશનમાં શાસકપક્ષના નેતા કુસુમબહેન પંડ્યા તથા અન્ય અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતાં.આ પત્રકાર પરિષદમાં મેયરે જણાવ્યું હતું કે – દેશભરમાં શહેરીકરણ વધી રહ્યું છે ત્યારે દેશમાં સ્માર્ટ સિટીની સંખ્યા વધે તેવાં હેતુ સાથે કેન્દ્ર સરકાર દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકાએ સમગ્ર ગુજરાતમાં, સૌ પ્રથમ પોતાનો એટલે કે શહેરનો ડેટાબેઝ સરકારમાં મોકલી આપ્યો છે. હવે લોકો પણ પોતાના મંતવ્યો વધુમાં વધુ પ્રમાણમાં ઓનલાઇન ફીડબેક દ્વારા મોકલી આપે અને એ રીતે આપણાં શહેરનો સ્માર્ટ સિટી યોજનામાં સમાવેશ થાય તો જામનગર શહેરનાં વિકાસ માટે રૂ. 1,000 કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળી શકે. જે ધ્યાનમાં રાખી વધુ ને વધુ નગરજનો આ સર્વેમાં ભાગ લ્યે એવો અત્રે અમો સૌ પદાધિકારીઓ આપ સૌ નગરજનોને અનુરોધ કરીએ છીએ.