Mysamachar.in-
જામનગરમાં કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સંદર્ભે ઘણી જ કામગીરીઓ થાય છે. કરોડો રૂપિયાનો ખર્ચ પ્રતિવર્ષ થતો રહે છે. આમ છતાં, સોલિડ વેસ્ટ શાખા અવારનવાર વિવાદોમાં સપડાતી રહે છે અને મુખ્ય વિસ્તારોને બાદ કરતાં, અવિકસિત વિસ્તારો પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવતું નથી એવું અવારનવાર જાહેર થતું રહે છે. આ ઉપરાંત આ શાખામાં ભ્રષ્ટાચાર અને કામચોરી પણ ઘણી વખત સમાચાર બને છે. આ સ્થિતિમાં જો કોર્પોરેશન સ્વચ્છતા સંબંધી કામગીરીઓ પર વધુ ફોકસ કરે તો, આગામી સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણે આગળનો ક્રમ પ્રાપ્ત કરી શકીએ. અને, સ્વચ્છતા પાછળ થતો કરોડોનો ખર્ચ પણ લેખે લાગે.
જામનગરમાં ખાસ કરીને લોકજાગૃતિનું પ્રમાણ પણ નોંધપાત્ર નથી. સફાઈ થઈ ગયા બાદ ગંદકી ન કરવી, એ મુદા પર લોકોને વધુ જાગૃત કરવાની આવશ્યકતા છે. આ ઉપરાંત લોકજાગૃતિનાં પ્રયાસો પછી પણ જેઓ બેદરકાર રહેતાં હોય તેવાં નગરજનો અને ધંધાર્થીઓને સમજાવવા-દંડવા અંગે પણ નક્કર કામગીરી આવશ્યક છે.ઘણાં વિસ્તારોમાં લોકો ઘરઆંગણે તથા જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નીરે છે. સોસાયટીઓમાં આ દૂષણ વધુ જોવા મળે છે. આ પ્રકારના મુદ્દાઓ પર કોર્પોરેશને વધુ ફોકસ કરવું આવશ્યક લેખાય. આ ઉપરાંત લોકોએ પણ આપણું શહેર છે, આપણું આંગણું છે, આપણી પ્રતિષ્ઠા છે – એમ વિચારી પોતાપણાનો ભાવ વિકસિત કરી કોર્પોરેશનની કામગીરીને સહયોગ આપવો જરૂરી છે. હા, જે કિસ્સાઓમાં કોર્પોરેશન દોષિત હોય તેવાં કિસ્સાઓમાં લોકોએ નગરસેવકો, સંબંધિત કર્મચારીઓ અને અધિકારીઓને કામ કરવા દોડાવવા જોઈએ, યોગ્ય અને અસરકારક રજૂઆત કરવી જોઈએ.
આપણે સૌ સાથે મળીને શહેરને સ્વચ્છ રાખવા કટિબદ્ધ બનીએ તો ગંદકી કે અસ્વચ્છતાને આપણે ચોક્કસ હદપાર કરી જ શકીએ. અત્રે નોંધનીય છે કે, ગત્ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગરનો ક્રમ 382 શહેરોમાં 23 મો હતો, આ વર્ષે આપણે પાછળ ધકેલાઈ 54 મા ક્રમે ફેંકાઈ ગયા છીએ. આપણાં સૌ માટે આ નામોશી છે, ચાલો આજથી જ કમ્મર કસીએ જામનગરને સૌરાષ્ટ્રનું ખરાં અર્થમાં પેરિસ બનાવવા પ્રતિજ્ઞા લઈએ અને એ પ્રતિજ્ઞાનું નિષ્ઠાથી પાલન કરીએ.