Mysamachar.in-જામનગર:
સામાન્યતઃ કોઈ પણ સરકારી અથવા ખાનગી કચેરીમાં વિભાગનાં વડાની રૂબરૂ મુલાકાત મહત્વનો ભાગ ભજવતી હોય છે. ક્યારેક આવી મુલાકાતો દરમ્યાન કશુંક આડુંઅવળું પણ નજરે ચડી જતું હોય છે. મુલાકાત વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ પર એક ચોક્કસ પ્રભાવ પણ પાથરતી હોય છે. વિભાગમાં આ પ્રકારની મુલાકાતોથી જરૂરી વાઈબ્રન્સી પણ પેદાં કરી શકાતી હોય છે.
જામનગર મહાનગર સેવા સદનમાં પણ આ પ્રકારની કમિશનર અથવા મેયરની મુલાકાતોની પરંપરા રહી છે. લોકોની અપેક્ષા સ્વાભાવિક રીતે જ એ હોય છે કે, આ પ્રકારની મુલાકાત પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો અથવા પરિવર્તન લાવે. આજે સોમવારે સવારે સવા અગિયારથી સાડા બાર વાગ્યા દરમિયાન કોર્પોરેશનમાં નવનિયુક્ત કમિશનર ડી.એન.મોદીએ નાયબ કમિશ્નર ભાવેશ જાનીને સાથે રાખી વિવિધ લગભગ મોટાભાગની શાખાઓની મુલાકાત લીધી હતી.
કોર્પોરેશનની સિવિલ, એસ્ટેટ, આરોગ્ય, ટીપીઓ, ટીપીડીપી, સોલિડ વેસ્ટ સહિતની વિવિધ શાખાઓમાં શું માહોલ છે ? શું વ્યવસ્થાઓ છે ? સ્વચ્છતા કેવીક છે ? અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર આવે છે કે કેમ ? વિભાગોમાં નિયમો અનુસાર કામગીરીઓ થાય છે કે કેમ ? વગેરે ઘણી બધી બાબતોનું કમિશ્નરે નિરીક્ષણ કર્યું અને સાથેસાથે એમ પણ જણાવ્યું હતું કે, જે અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર આવવાની દરકાર નહીં લ્યે તેઓ વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે – કમિશનરની આ જાહેરાતથી કેટલાંક પેધી ગયેલાં અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
નગરજનો એવું ઈચ્છે છે કે, કમિશનર દ્વારા વધુ બારીકાઈથી દરેક વિભાગ પર વોચ રાખવામાં આવે, જરૂરી આદેશો કરવામાં આવે અને અધિકારીઓ તથા કર્મચારીઓ પ્રત્યે કડક વલણ અખત્યાર કરવામાં આવે જરૂરી આંતરિક બદલીઓ પણ કરવામાં આવે તો મહાનગર સેવા સદન ખરાં અર્થમાં સેવા સદન બની શકે એમ છે. ઘણાં બધાં અધિકારીઓ અને કર્મચારીઓ ફરજપરસ્ત હોય છે પરંતુ કેટલાંક પેધી ગયેલાંઓને કારણે કોર્પોરેશનની ઇમેજ ચકચકિત બની શકતી નથી. કેટલાંક નગરજનો એવો પણ મત ધરાવે છે કે, પદાધિકારીઓ સ્થાનિક હોવાને કારણે ઘણું બધું ચલાવી લેતાં હોય છે, આ સ્થિતિમાં કમિશનર સ્તરે કોર્પોરેશનને વધુ કાર્યક્ષમ અને જિવંત બનાવવામાં આવે તે ઇચ્છનીય અને અપેક્ષિત લેખી શકાય.