Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક આજે સોમવારે બપોરે યોજાઈ હતી જેમાં પંચાયતનો વહીવટ ઉઘાડો પડી ગયો હતો. 2016માં જે કામો પૂર્ણ થયેલાં છે તેનાં નાણાં આજની તારીખે ચૂકવવાના બાકી છે ! જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક આજે પ્રમુખ ધરમશી ચનિયારાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. પ્રમુખ તરીકે આ તેઓનું આખરી બોર્ડ હતું. તેઓએ પોતાની અઢી વર્ષની ટર્મ દરમિયાન ઘણાં કામો કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, સિંચાઈ વિભાગના રૂપિયા 954 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જો કે તે પૈકી માત્ર 140 લાખના કામો જ પૂર્ણ થયા હોવાનું પણ તેઓએ કહ્યું. પાછલાં અઢી વર્ષ દરમિયાન તેઓની ટર્મમાં રૂપિયા 14.26 કરોડના કામો મંજૂર થયાનું તેઓએ જણાવ્યું.
જનરલ બોર્ડની આ બેઠકમાં કારોબારી ચેરમેન ભરત બોરસદીયાએ સ્વીકાર્યુ કે, રોડના કેટલાંક કામો જે 31.03.2016માં પૂર્ણ થઈ ગયા હતાં તેના કોન્ટ્રાક્ટરને આજની તારીખે કામોના નાણાં ચૂકવવામાં આવ્યા નથી ! આ ચૂકવણા માટે સરકારમાંથી ગ્રાન્ટ પણ આવેલી પડી છે, આમ છતાં આ ચૂકવણું થયું નથી ! ચૂક થઈ છે ! હવે વર્તમાન પદાધિકારીઓની ટર્મ પૂરી થઈ ત્યારે છેક આ મુદ્દો ચર્ચામાં આવ્યો !
વિપક્ષના નેતા જે.પી.મારવિયાએ બેઠકમાં તડાફડી બોલાવતાં કહ્યું : 104 ગામોના બનેલા કાલાવડ તાલુકામાં જિલ્લા પંચાયત શા માટે કામ કરતી નથી ?! કાલાવડ તાલુકો પાકિસ્તાનમાં છે ?! તેઓએ બધાં તાલુકાના કામોના ખર્ચના આંકડાઓ રજૂ કર્યા હતાં. કાલાવડ તાલુકામાં એક માત્ર નાના બાદનપુર ગામમાં રૂપિયા 1.42 લાખનું એક કામ થયું તેને બાદ કરતાં આખા તાલુકામાં કોઈ જ કામો થયા નથી એમ તેમણે બેઠકમાં કહ્યું ત્યારે શાસકપક્ષના સભ્યો છોભીલા પડી ગયા હતાં. આગામી 13મીએ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી થશે. આજની બેઠકમાં કુલ આઠ એજન્ડા આઈટમ હતી. જે બધી પંચાયતની રુટિન કાર્યવાહીઓ હતી. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા સદસ્યો અને અન્ય અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.