Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાનું પૂરવઠા ગોદામ સતત 6 દિવસથી ગાંધીનગરની ટીમના સ્કેનર હેઠળ તપાસવામાં આવી રહ્યું છે. આ ગોદામની મથરાવટી વિષે વરસોથી સૌ ઘણું જાણે છે. મહત્ત્વની બાબત એ છે કે, છેલ્લા 30 વર્ષમાં આ પ્રકારની તપાસ પ્રથમ વખત થઈ રહી હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. છેક ગાંધીનગર સુધી ધગધગતા રિપોર્ટ પહોંચી ગયા, જેના પગલે આ તપાસ શરૂ થઈ છે એમ પણ સૂત્ર ઉમેરે છે.
જામનગર શહેરમાં રાશનકાર્ડધારકોને આપવાના થતાં અનાજ સહિતના જથ્થાની સાચવણી અને ટ્રાન્સપોર્ટેશન માટે ત્રણ મુખ્ય ગોદામ આવેલાં છે. જે પૈકી કેન્દ્ર સરકારનું એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું એક ગોદામ હાપા રેલ્વ સ્ટેશન નજીક છે. બીજું ગોદામ લાલપુર રોડ પર દરેડ નજીક છે. અને, રાજ્યના અન્ન અને નાગરિક અને પૂરવઠા વિભાગનું ગોદામ શહેરના વાલસુરા રોડ પર બેડેશ્વર નજીક આવેલું છે. વ્યવસ્થાઓ એ પ્રકારની છે કે, FCIના ગોદામમાંથી અનાજનો જથ્થો બેડેશ્વર ગોદામમાં શિફ્ટ થાય અને બાદમાં ત્યાંથી સસ્તા અનાજની દુકાનોના ધારકોને જથ્થાની ફાળવણી કરવામાં આવે છે. જે પૈકી બેડેશ્વર ગોદામની મથરાવટી હંમેશા ચર્ચાઓમાં રહી છે.
અનાજ ફાળવણી માટેની આ ગુણીઓ FCI ના ગોદામમાં હોય છે ત્યારે, ગુણીઓ પર લાલ રંગના મટીરીયલ્સની સિલાઈ અને સીલ હોય છે. બાદમાં આ તમામ ગુણી બેડેશ્વર ગોદામમાં ફરી ખોલવાની હોય છે, વજન કરવાનું હોય છે અને પછી ગુણી પર પીળા મટીરીયલ્સની સિલાઈ તથા સીલ લાગે. આ કામગીરીઓ માટે સરકાર ખાનગી કોન્ટ્રાકટરને નાણાં પણ ચૂકવે છે. આ તમામ વજનની રેકર્ડ પર નોંધ દાખલ થઈ જાય. જેમાં ત્રણ અધિકારીઓની સહી થાય. આ ત્રણ સહી ગોદામ મેનેજર, DSM અને DSO દ્વારા થતી હોય છે. જેથી પ્રમાણિત થાય કે, ગુણીમાં જથ્થો નિયત છે.
પરંતુ અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, FCI ની લાલ દોરાવાળી સિલાઈ સાથેની ગુણીઓ અત્યાર સુધી દુકાનદારોને આપવામાં આવતી હતી, એવી ફરિયાદો છેક ગાંધીનગર પહોંચી. અહીં પ્રશ્ન એ થાય કે, બેડેશ્વર ગોદામમાં જથ્થાનું ફરી વખત વજન થતું ન હતું ? તો અધિકારીઓની સહી સાથેનું રેકર્ડ કેવી રીતે તૈયાર થતું હતું ? આ માટેના કોન્ટ્રાકટરે કરવાની થતી કામગીરીઓ પર તંત્રનું કોઈ સુપરવિઝન ન હતું ? અને, આ કોન્ટ્રાકટરને કામગીરીઓ વિના જ પેમેન્ટ આપવામાં આવતું હતું ? પીળા દોરાની સિલાઈ વિનાની આ તમામ ગુણીમાં અનાજનો જથ્થો નિયત રહેતો ? કે ઓછો ? એ નક્કી કેમ થઈ શકે ? અને, એ પણ ઉલ્લેખનિય છે કે, FCI ગોદામની મથરાવટી પણ વર્ષોથી ચર્ચાસ્પદ રહી છે.
ટૂંકમાં, ગોદામથી માંડીને રાશનકાર્ડધારકને જથ્થો અપાયો છે ત્યાં સુધીનું તમામ રેકર્ડ ચોક્કસ પદ્ધતિઓ દ્વારા fabricated કરવામાં આવતું હોય એવી શંકાઓ અસ્થાને નથી. કારણ કે સમગ્ર રાજ્યના પૂરવઠા વિભાગોને સૌ ઓળખે છે. અને, 30 વર્ષમાં પ્રથમ વખત જામનગર પૂરવઠા ગોદામ પર આ પ્રકારનો દરોડો અને તપાસ 6-6 દિવસ સુધી ચાલે, એ બાબત ખુદ મોટી વાત છે. છે કંઈક મોટું એવી સૂત્રની ખબર સત્યની વધુ નજીક હોવાની વ્યાપક શકયતાઓ છે.
દરમિયાન, એમ જાણવા મળે છે કે- સરકારની ભાષામાં દરેક ગુણી સ્ટાન્ડર્ડ જાહેર થઈ જાય પછી જ તે ગુણી વિતરણ માટે દુકાનદારને આપવામાં આવે એવો નિયમ છતાં, આ ગોદામમાં સ્ટાન્ડર્ડ ન હોય એવી સેંકડો ગુણી દુકાનદારોને આપવામાં આવે છે, અને આ અંગે ગાંધીનગરમાં વિસ્તૃત રજૂઆત અને ફરિયાદો થતાં સરકારે ગાંધીનગરથી ખાસ વિજિલન્સ ટીમને અહીં જામનગર મોકલી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, Mysamachar.in દ્વારા બે દિવસમાં 3 વખત જિલ્લા પૂરવઠા અધિકારી, જિલ્લા પૂરવઠા અધિકારીની કચેરી અને બેડેશ્વર ગોદામ મેનેજરનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવેલો પરંતુ એક પણ ફોન બે દિવસથી રિસિવ થતાં ન હતાં. આજે DSO એ આકસ્મિક તપાસ છે એમ જણાવ્યું પરંતુ ગોટાળા શોધવા વિજિલન્સ, ગાંધીનગર ત્રાટકયું છે, એ વાત છૂપાવી.
-બે દિવસ બાદ સરકારમાં જમા થશે વિજિલન્સ રિપોર્ટ…
Mysamachar.in દ્વારા આજે બપોરે ગાંધીનગરની આ વિજિલન્સ ટીમના એક ઉચ્ચ મહિલા અધિકારીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવેલો. તેઓએ કહ્યું: વિજિલન્સ પ્રોટોકોલ મુજબ, હાલમાં આ કાર્યવાહીઓની કોઈ જ વિગતો જાહેર થઈ શકશે નહીં. આ કાર્યવાહીઓ હજુ બે દિવસ ચાલશે. બાદમાં, વિજિલન્સ રિપોર્ટ સરકારને સુપ્રત કરવામાં આવશે.