Mysamachar.in-જામનગર:EXCLUSIVE
જામનગરમાં હાલનાં જર્જરિત એસટી બસ ડેપોની જગ્યાએ આગામી સમયમાં નવું અને આધુનિક બસ પોર્ટ બનશે?! આ પ્રશ્ન સપાટી પર આવવાનું કારણ એ છે કે, રાજ્યનાં વાહનવ્યવહારમંત્રી સમક્ષ જામનગરનાં જાગૃત ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ રૂબરૂ અને પત્ર દ્વારા એસ.ટી બસ પોર્ટ બનાવવા અંગે વિસ્તૃત રજૂઆત કરી છે.અને ટૂંક સમયમાં હયાત એસટી ડેપોને સ્થાનિક આધુનિક સુવિધાસભર બસ ડેપો મળવાના સંજોગો ઉજળા એટલા માટે થયા છે કે ધારાસભ્યોની રજૂઆત બાદ તાકીદે આ મુદ્દે વાહનવ્યવહાર મંત્રીએ આ અંગે અધિકારીઓની બેઠક પણ યોજી હતી અને આ દિશામાં વર્કઆઉટ કરવા સુચનાઓ આપી દેવામાં આવી છે.
જામનગર દક્ષિણનાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી શહેરનાં મહત્વનાં પ્રોજેક્ટ્સ અને વિકાસકાર્યો મુદ્દે સતત જાગૃત છે, અને તેવો શહેરને સ્પર્શતા એક બાદ એક મુદ્દાઓનું સરકારમાંથી કઈ રીતે નિરાકરણ આવે તે દિશામાં હાલ રાતદિવસ એક કરી રહ્યા છે. અને જરૂરી મુદ્દાઓ અંગે સરકારમાં સંબંધિત મંત્રીઓ તથા મુખ્યમંત્રી સુધી રજૂઆતો અને રૂબરૂ મુલાકાતનો અભિગમ ધરાવે છે એમ તેઓએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું હતું અને કહ્યું હતું કે,
કાલે મંગળવારે 27 મી ડિસેમ્બરે તેઓએ રાજ્યનાં વાહનવ્યવહારમંત્રી હર્ષ સંઘવી સમક્ષ જામનગરનાં બસ ડેપો અંગે પત્ર દ્વારા વિસ્તૃત રજૂઆત કરી છે અને આ મુદ્દે મંત્રીની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી. તેઓએ લખેલાં પત્રની વિગતો અત્રે આગળ જણાવવામાં આવી છે. ગાંધીનગરમાં વાહનવ્યવહારમંત્રી સાથેની આ બેઠકમાં જામનગર ઉતરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા પણ હાજર રહ્યા હતાં. તેઓએ પણ મંત્રી સમક્ષની આ રજૂઆતમાં સૂર પુરાવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, જામનગર એસટી ડેપો 1966 ની સાલમાં બન્યો છે. જે આજે છપ્પન વર્ષ બાદ સંપૂર્ણ જર્જરિત બની ચૂક્યો છે. અને આ ડેપોમાં ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી ! આ ડેપો દૈનિક ધોરણે અંદાજે અઢાર-વીસ હજાર પ્રવાસીઓની અવરજવર ધરાવે છે અને એસટી નિગમને ઘણું કમાઈ આપે છે. વાહનવ્યવહાર મંત્રી સાથેની મુલાકાત બાદ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મુખ્યમંત્રી ભૂપેન્ પટેલની પણ મુલાકાત લીધી હતી.અને શહેરના વિકાસના કામો અંગે જરૂરી ચર્ચાઓ કરી હતી.
-ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મંત્રીને કાલે મંગળવારે લખેલાં પત્રમાં જણાવ્યું છે કે….
સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા PPP નાં ધોરણે જિલ્લા સ્તરે આધુનિક બસ પોર્ટ બનાવવામાં આવી રહ્યા છે, જેનો લાભ લાખ્ખો પ્રવાસીઓને પ્રાપ્ત થઈ રહ્યો છે. જામનગર ખાતે આ પ્રકારનું બસ ટર્મિનલ વિકસાવવા માટે સરકારે વર્ષ 2012 માં ટેન્ડર બહાર પાડયા પછી, તેમાં માત્ર એક જ બિડ મળ્યું હતું. એક જ પાર્ટીએ ઓફર આપી હતી. ત્યારપછી 2016ની સાલમાં રાજ્યનાં એસટી નિગમે સમગ્ર રાજ્યમાં 14 બસપોર્ટ PPP ધોરણે બનાવવા ટેન્ડર બહાર પાડયા હતાં. જેમાં જામનગર માટે એક પણ પાર્ટી તૈયાર થવા પામી ન હતી ! જેનાં કારણે 2021માં નિગમની વડી કચેરીએ જામનગર માટેનાં આ પ્રોજેક્ટની મંજૂરી રદ કરી, સમગ્ર મામલો રાજય સરકારને સોંપી દીધો હતો.
તાજેતરમાં વર્ષ 2022માં રાજ્ય સરકારે કેપિટલ ખર્ચ તરીકે જામનગર માટે PPP નાં ધોરણે બસ પોર્ટ બનાવવા પુનઃ નિર્ણય કર્યો છે.(વાહનવ્યવહાર મંત્રી ને સંબોધીને ધારાસભ્યએ પત્રમાં આગળ લખ્યું છે કે,)આથી આપનાં સ્તરેથી જામનગરમાં અદ્યતન બસ પોર્ટ તથા એસટી વર્કશોપ બનાવવા સંબંધિત વિભાગોને સૂચના અને ભલામણ કરવામાં આવે તથા માર્ગદર્શન આપવામાં આવે, એવી અત્રે વિનંતી છે. આ પત્રમાં ધારાસભ્યએ આગળ લખ્યું છે કે, જો સરકાર દ્વારા મૂડીકૃત બજેટમાંથી જામનગરમાં આધુનિક બસ પોર્ટ અને વર્કશોપનું નિર્માણ કરવામાં આવે તો આ સમગ્ર પ્રક્રિયા ઝડપી અને લોકલક્ષી બનાવી શકાય, એ દિશામાં આપનાં સ્તરેથી યોગ્ય કાર્યવાહી થવા વિનંતી.
-વાહનવ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું કે…
જાહેર પરિવહન સેવા એક શ્રેષ્ઠ અને સૌથી સુવિધાપૂર્ણ ટ્રાન્સપોર્ટ સેવા છે. જામનગર, માંડવી, કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણ ખાતે નવા બસપોર્ટ માટેની રજૂઆતો મળે છે અને સંકલન કરી રહ્યા છીએ.હાલમાં જનપ્રતિનિધિઓ દ્વારા આ બધાં શહેરો માટે આધુનિક બસપોર્ટ અંગે રજૂઆતો મળી છે અને તે વિકાસકાર્યો માટે જરૂરી એકશન પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.