Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકા પાસે સ્વ ભંડોળની આવકના સ્ત્રોત ખુબ સીમિત છે, ત્યારે જે સ્ત્રોત છે તેમાં જો પુરતું ધ્યાન આપવામાં આવે તો મનપાને મોટી આવક થાય…આવું જ મનપાએ કરી બતાવ્યું છે, શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી, સ્ટે.ચેરમેન મનીષ કટારીયાની સુચનાથી પૂર્વ કમિશ્નર વિજય ખરાડી, નાયબ કમિશ્નર ભાવેશભાઈ જાની અને આસી.કમિશ્નનર કોમલબેન પટેલના સતત માર્ગદર્શન અને મોનીટરીંગ હેઠળ મનપાની ટીમે ખુબ મોટી સિદ્ધિ આવકને લઈને હાંસલ કરી છે, જેમાં નાણાકીય વર્ષમાં કોઈ એકાદ નહિ પરંતુ તમામ ટેક્સની બમ્પર આવક થઇ છે. જે એક અનોખી સિદ્ધિ કહી શકાય તેવી બાબત છે. અને આટલી મોટી આવક થતા મનપાની આર્થિક સ્થિતિ મજબુત બનતા શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે,
કેટલીય વખત સમાચારોમાં એવું ચમકતું જોવા મળતું કે “મનપાની તિજોરી તળિયા ઝાટક…કર્મચારીઓને કરવા પગારના સાંસા…” પણ આ તમામ બાબતોનો છેદ ઉડાવીને મનપાએ કરોડોની આવક સ્વભંડોળમાં એકત્ર કરી લીધી છે. વ્યાજમાફી સહિતની યોજનાઓનો બહોળો પ્રચાર પ્રસાર પદાધિકારીઓ અને અધિકારીઓ કર્મચારીઓની જહેમતના ફળ સ્વરૂપ મનપાએ રેકોર્ડબ્રેક કહી શકાય તેવી હાઉસ ટેક્સમાં 79 કરોડ જયારે વોટર ટેક્સમાં 30 કરોડની નોંધપાત્ર આવક થતા મનપાનું સ્વભંડોળ મજબુત થયું છે.
આવું જ ટાઉન પ્લાનિંગ વિભાગે પાછલા વર્ષમાં કરી બતાવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાને વર્ષ 2022 દરમિયાન 58.36 કરોડ આવક થઈ હોવાની વિગતો જાહેર થઇ છે. ઇન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીની સુચના માર્ગદર્શન અનુસાર ટીપીઓ શાખા દ્વારા વધુને વધુ પોર્ટલ પર અરજીઓ થાય તથા બાંધકામની પરવાનગી આપવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જે અંતર્ગત જામનગર મહાનગર પાલિકાની ટીપીઓ શાખા દ્વારા ઈ નગર પોર્ટલ પર વર્ષ 2022 દરમિયાન ઓનલાઇન 3933 બાંધકામની પરવાનગી આપવામાં આવી હતી.
તેમજ GRUDO- 2022 હેઠળ કુલ 3213 અરજીઓ આવી હતી જેમાંથી 392 અરજીઓ જામનગર મનપાની ટીપીઓ શાખાએ મંજૂર કરી હતી, અને 23 અરજી નામંજૂર કરવામાં આવી હતી, ઓફલાઈન 355 અરજીઓ ટીપીઓ શાખામા ઇન વર્ડ થઈ હતી. જયારે મનપાની ટીપીઓ શાખા દ્વારા વર્ષ 2022 દરમિયાન અંદાજે 30 જેટલા હાઈ રાઈઝ અને લો-રાઇઝ બાંધકામોને વિકાસની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં સેલેબલ એફ.એસ.આઇ.ની અંદાજે 70% આવક થવા પામી છે. આમ તારીખ 1/4/22 થી 31/3/2023 અંદાજપત્રમાં કુલ અંદાજિત આવક 52 કરોડ આપવામાં આવેલ હતી જેની સામે ટાઉન પ્લાનિંગ શાખાની 58.36 કરોડ જેટલી આવક થઈ છે.