Mysamachar.in-જામનગર:
જામનગર-ખંભાળિયા હાઈવે નજીક આવેલી અક્ષરપ્રીત નામની કોલેજનું નામ પરીક્ષા ચોરીના મુદ્દે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજયું છે. આ કોલેજમાં વિદ્યાર્થી સંસ્થા NSUI દ્વારા ધરણાં કરવામાં આવ્યા છે અને આ કોલેજ કેમ્પસ વિરુદ્ધ તપાસની પણ માંગ કરવામાં આવતાં ચકચાર જાગી છે. નજીકના ભૂતકાળમાં આ કોલેજ કેમ્પસ એક બળાત્કાર મામલે પણ ચર્ચાઓમાં આવ્યું હતું.
NSUI એ જણાવ્યું છે કે, લાખાબાવળ ખાતે આવેલી અક્ષરપ્રીત કોલેજમાં માસકોપી એટલે કે પરીક્ષામાં સામૂહિક ચોરી પકડાઈ ગઈ છે. સામૂહિક ચોરી કોલેજની સામેલગીરી વગર શક્ય બને ?! એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે, આ સામૂહિક ચોરી CCTV ફૂટેજના આધાર પર GTUએ પકડી છે. અક્ષરપ્રીત નામની આ ફાર્મસી કોલેજમાં જેતે સમયે પરીક્ષા દરમિયાન ચોરી થઈ રહી હતી ત્યારે સુપરવિઝન સ્ટાફ શું કરતો હતો ?! એ પ્રશ્ન પણ સપાટી પર આવ્યો છે.
NSUIએ વધુમાં જણાવ્યું છે કે, આ કોલેજમાં સામૂહિક ચોરીનો મામલો શિક્ષણના ક્ષેત્રમાં બહુ ગંભીર બાબત છે. ખુદ કોલેજ પરીક્ષાર્થીઓને ગેરરીતિઓ શીખવાડે અથવા ચલાવી લ્યે એ મુદ્દો વિદ્યાર્થીઓ માટે પણ ગંભીર છે. આ કોલેજ કેમ્પસનું નામ SKEFT છે. જયાં વિવિધ કોલેજો છે. એક જ કેમ્પસમાં ચાલતી આટલી બધી કોલેજ પણ તપાસનો વિષય છે એમ NSUI એ ધરણાંમાં જણાવ્યું. અહીં અક્ષરપ્રીત ફાર્મસી કોલેજ ઉપરાંત દયામન નર્સિંગ એન્ડ ફિઝીયોથેરાપી કોલેજ, મીનાક્ષીબેન દવે બીએડ કોલેજ અને પરમ ઈન્સ્ટીટયૂટ MBA સહિતની કોલેજ ચાલે છે. જેની તપાસની માંગ કરવામાં આવી છે.
NSUIએ એમ પણ કહ્યું છે કે, થોડાં સમય અગાઉ આ કેમ્પસની એક કોલેજનો પ્રિન્સિપાલ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું. આ કેમ્પસની વિવિધ કોલેજોમાં અવારનવાર વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠતાં રહે છે છતાં તંત્રની મીઠી નજરને કારણે સંચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ થતી નથી .એમ જણાવી NSUIએ આજે આ કેમ્પસ ખાતે માસકોપી મુદ્દે ધરણાં કરી, GTU રજિસ્ટ્રાર સમક્ષ આ કોલેજ વિરુદ્ધ રજૂઆત કરી છે. આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. અને આ કોલેજ વિરુદ્ધ દંડકીય કાર્યવાહી કરવામાં આવે એવી પણ રજૂઆત કરવામાં આવી છે. આજે કોલજે બહાર ધરણામાં NSUI મહામંત્રી ગુજરાત મહિપાલસિંહ જાડેજા, યુવક કોંગ્રેસ ગુજરાત મંત્રી શક્તિસિંહ જેઠવા, NSUI જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ સહિતના કાર્યકરો જોડાયા હતા.