Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં કેટલાક સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ખરેખર જરૂરિયાતમંદ રાશનકાર્ડ ધારકોને અનાજ આપવાને બદલે યેનકેન પ્રકારે આ જથ્થો બારોબાર વેચી મારવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠતી રહે છે,અને કેટલાક સસ્તા અનાજના દુકાનદારોની લાલીયાવાડીની ફરિયાદો વચ્ચે ગતરાત્રીના જામનગર જીલ્લાના જામજોધપુરમાં સસ્તા અનાજની દુકાનનું રાશન ફ્લોરમિલ સુધી પહોચાડવાના રેકેટની માહિતી મળતા પોલીસ ત્યાં પહોચી હતી પરંતુ મામલો રેવન્યુ વિભાગને લગત હોય વધુ કાર્યવાહી માટે મામલતદાર જામજોધપુરને જાણ કરવામાં આવતા તેવો તાબડતોબ ત્યાં પહોચ્યા હતા અને તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સસ્તા અનાજના ચોખાના 50 કિલોના એક એવા 301 કટા સસ્તા અનાજના ચોખાના મળી આવ્યાનું જામજોધપુર મામલતદારે જણાવ્યું હતું.
વાત કઈક એવી છે કે જામજોધપુર પોલીસ રાત્રીના કોટડાબાવીસી નજીક પેટ્રોલિંગમાં હતી તે સમયે દરમિયાન એક ટ્રકમાંથી સસ્તા અનાજના બાચકા ભરેલ ચોખાનો મોટો જથ્થો ઉતરી રહ્યો હતો અને પોલીસ દ્વારા ટ્રકચાલક સહિતની પ્રાથમિક તપાસ કરતા કોઈ પુરાવા ન મળતા આ મામલે સ્થાનિક જામજોધપુર મામલતદારને જાણ કરતા મામલતદાર દવારા સ્થળ પર પહોચી અને તપાસ કરતા સસ્તા અનાજની દુકાનના સરકારી ચોખા હોવાનું પ્રથમ દર્શનીય રીતે સામે આવ્યું જે જથ્થો 301 ચોખાના કટા જપ્ત કરી FCI ના ગોડાઉન ખાતે મોકલી દેવામાં આવ્યા છે, મામલતદાર જામજોધપુર ધર્મેશ કાછડના જણાવ્યા મુજબ 301 કટ્ટા સસ્તા અનાજના ચોખા અને એક ટ્રક સહિતનો મુદ્દામાલ સીઝ કરી આ અંગેનો રીપોર્ટ કલેકટર જામનગરને કરવામાં આવ્યો છે, અને આ અંગેની વધુ કાર્યવાહી પુરવઠા વિભાગ અને કલેકટર કચેરી દ્વારા કરવામાં આવશે, જો કે આ મામલે પુરવઠા અધિકારી દ્વારા જણાવ્યા મુજબ હું આ મામલે તપાસ કરવા માટે રૂબરૂ સ્થળ પર જઈશ, અને વિશેષ તપાસ કરીશ અને ગાંધીનગરથી પણ એક ટીમ જામજોધપુર ખાતે આવી રહી છે અને વિશેષ તપાસ બાદ હું સંપૂર્ણ વિગત આપી શકીશ.આમ જામનગરમાં વધુ એક વખત સસ્તા અનાજના દુકાનનો જથ્થો બારોબાર થઇ રહ્યાનું ફલિત થયું છે.