Mysamachar.in-જામનગર:
આગામી બીજી મે ના રોજ વડાપ્રધાન-બીજેપીના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યા છે. બીજી તરફ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું આંદોલન ચાલી રહ્યું છે તેથી રાજ્યના ગૃહમંત્રી તરીકે જવાબદારીના ભાગરૂપે હર્ષ સંઘવીએ કાલે સોમવારે રાત્રે જામનગરની મુલાકાત લીધી. તેઓ હોટેલમાં રોકાયા હતાં અને સ્થાનિક નેતાઓની સાથે ચૂંટણીઓ સંબંધિત વાતચીત કરી હતી. ગૃહરાજ્યમંત્રીએ વડાપ્રધાનની બીજી મે એ શહેરના પ્રદર્શન મેદાન ખાતે યોજાનારી જનસભાના સ્થળની મુલાકાત લીધી હતી અને બેઠક વ્યવસ્થા અને સુરક્ષા બંદોબસ્તની જાણકારીઓ પ્રાપ્ત કરી ત્યારે આઈજી અશોકકુમાર યાદવ સાથે રહ્યા હતાં.
ગૃહરાજ્યમંત્રી ઈન્દીરા રોડ પર આવેલી સયાજી હોટેલમાં મોડીરાત સુધી રોકાયા હતાં. તે દરમિયાન તેઓએ કેબિનેટ મંત્રીઓ રાઘવજી પટેલ અને મુળુ બેરા, ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા ઉપરાંત જિલ્લા અને શહેર બીજેપી અધ્યક્ષો રમેશ મુંગરા અને વિમલ કગથરા સાથે વડાપ્રધાનની જામનગર મુલાકાત સંબંધે અને આગામી લોકસભા ચૂંટણીઓ સંબંધે વાતચીત કરી હોવાનું જાણવા મળે છે. ગૃહરાજ્યમંત્રીએ મોડેથી રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ડીરેક્ટર પરિમલ નથવાણી સાથે પણ હોટેલમાં જ બેઠક યોજી હતી. આ ઉપરાંત કેટલાંક ક્ષત્રિય આગેવાનો સાથે પણ તેઓએ સામાન્ય વાતચીત કરી હોવાનું બહાર આવ્યું છે.
બીજેપીના લોકસભા ઉમેદવાર-સાંસદ પૂનમબેન માડમ હાલ ચૂંટણીના પ્રવાસમાં હોવાથી તેઓ મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને પરત ફર્યા હતાં અને ત્યારબાદ ગૃહરાજ્યમંત્રીએ એમની મુલાકાત તેઓના નિવાસસ્થાને લીધી હતી. જો કે, આ મુલાકાત ખૂબ જ ટૂંકી રહી હતી.
જામનગર મુલાકાત દરમિયાન ગૃહરાજ્યમંત્રીએ સ્થાનિક પત્રકારો સાથે પણ ટૂંકી મુલાકાત કરી હતી અને વડાપ્રધાનના જામનગર કાર્યક્રમ, ક્ષત્રિય સમાજના આંદોલન, રાહુલ ગાંધીના નિવેદનો અને પોરબંદરના દરિયામાં ઉપરાઉપરી ઝડપાઈ રહેલાં ડ્રગ્સના જથ્થા સહિતના મુદ્દાઓ પર પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતાં અને દેશમાં મોદીમય માહોલ હોવાનો સંદેશ આપ્યો હતો. ડ્રગ્સ મુદ્દે કોસ્ટગાર્ડ અને ATS સહિતની એજન્સીઓને અભિનંદન આપ્યા હતાં.