Mysamachar.in:ગુજરાત
જામનગર સહિત રાજયની જેલોમાં ઉપાધિઓ છે. જેલોમાં કેદીઓને સમાવવાની ક્ષમતાની સરખામણીએ 30 ટકા વધુ કેદીઓને ઘેટાંબકરાંની માફક ભરવામાં આવ્યા છે. કેદીઓની સંખ્યા વધતી જાય છે. જેલમાં જે જગ્યામાં 100 માણસ રહી શકે, એટલી જગ્યામાં 130 કેદીઓએ રહેવું પડે છે. જેલોમાં આ પ્રકારની ‘ગિરદી’ ને કારણે ગેંગવોર સહિતના નાનામોટા ઝઘડાઓ થતાં રહે છે. ઓછા કાતિલ કેદીઓ રીઢા ગુનેગારો પાસેથી નવા ‘કસબ’ શીખી લ્યે છે. ઓછાં ગંભીર ગુનાના આરોપીઓ, કે જેઓને જામીન મળી શકે એમ હોય છે તેઓએ પણ આ ગિરદીમાં ખતરનાક ગુનેગારો સાથે રહેવું પડે છે. ખોફનાક અને રીઢા ગુનેગારો જેલમાં ‘સાદા’ ગુનેગારોનું ઘણી બધી રીતે શોષણ કરતાં હોય છે. વળી, કેદીઓની મોટી સંખ્યાને કારણે જેલતંત્ર પર બધી જ રીતે બોજો વધે છે. અને કેદીઓને પૂરતી મોકળાશ મળતી હોતી નથી. આ પ્રકારના બધાં જ મુદ્દાઓની ચર્ચાઓ થઈ છે. અંતે એવો નિર્ણય થયો કે, જે ઓછા ગંભીર ગુનાઓમાં કેદીઓને જામીન મળી શકે એમ હોય, તેવા કેદીઓને જામીનમુક્તિ આપી જેલોમાં ગિરદી ઓછી કરવી જોઈએ.
નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી સાથે એક વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં આ ઓથોરિટી જેલોમાંથી ચોક્કસ પ્રકારના કેદીઓને, કાચા કામના કેદીઓને જામીન પર મુક્ત કરવા સહમત થઈ છે. હાલમાં આ પ્રયોગ અમદાવાદની સાબરમતી જેલથી શરૂ થશે. પોલીસ અધિકારીઓ કહે છે, જેઓ દેશવિરોધી કામોમાં સંડોવાયેલા ન હોય, સમાજ માટે વધુ જોખમરુપ ન હોય, એવા કાચા કામના કેદીઓને જામીન પર છોડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો જેલોની ગિરદી ઓછી કરી શકાય. જેલોમાં ગિરદીને કારણે સ્વચ્છતા સંબંધિત પ્રશ્નો પણ ઉભા થાય છે. અને રોગચાળો પણ વધે છે.
જેલોમાં ઘણાં કાચા કામના કેદીઓ એવા હોય છે જેઓ જામીન પર મુક્ત થવા નાણાંકીય રીતે પણ સશક્ત નથી હોતાં. ગરીબ હોય છે. ઘણાં કેદીઓને તો એ પણ ખબર નથી હોતી કે, તેનો ગુનો નાનો છે, જામીનપાત્ર છે. પરિણામે તેઓ જેલમાં સડતા હોય છે. તેઓને એ ખબર નથી હોતી કે તેઓ વિનામૂલ્યે વકીલની સેવા મેળવી શકે છે. આ સેવા લીગલ સર્વિસ ઓથોરિટી મારફતે મળી શકે છે તે તેઓને ખબર નથી હોતી. કેદીઓને આ જોગવાઈ અંગે સરકારે જાણકારીઓ આપવી જોઈએ. તેઓને એ ખબર હોવી જોઈએ કે, તેઓને પણ વગર ખર્ચે ડિફેન્સ લોયર મળી શકે છે.