Mysamachar.in-જામનગર:
જામનગર શહેર-જિલ્લામાં આવેલી સંખ્યાબંધ શૈક્ષણિક સંસ્થાઓ પૈકી ઘણી સંપન્ન શાળા-કોલેજોમાં છાત્રો-છાત્રાઓ તથા સ્ટાફ માટે કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ હોય છે. જેમાં વિવિધ પ્રકારના ખાદ્યપદાર્થો અને પીણાંનો મોટો વેપાર થતો હોય છે. સેંકડો લોકો ખાણીપીણીની આ ચીજવસ્તુઓ આરોગતાં હોય છે, પરંતુ આ ખાદ્યપદાર્થો અને પીણાંઓની ક્વોલિટી યોગ્ય હોય છે કે કેમ ? તે અંગે ક્યારેય કોઈ ચકાસણી થતી નથી એ મુદ્દો તાજેતરમાં સપાટી પર આવ્યો છે.
તાજેતરમાં કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર બી.એન.ખેરનાં અધ્યક્ષસ્થાને ફૂડ સંબંધી એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ફૂડ સેફ્ટી અધિકારી સોલંકી દ્વારા ફૂડ રજિસ્ટ્રેશન, લાયસન્સ તથા શહેરમાં ફૂડ પરિવહન કરતાં વાહનોમાં જરૂરી વ્યવસ્થા વગેરે અંગે માહિતી તથા વિગતો આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકમાં કમિટી મેમ્બર ( પ્રમુખ, ગ્રાહક સુરક્ષા મંડળ) કિશોર મજીઠીયા દ્વારા સૂચનો કરવામાં આવ્યાં હતાં કે, શહેરની જે શાળાઓ તથા કોલેજોમાં કેન્ટીન કાર્યરત હોય તે તમામ સ્થળોએ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે સંબંધિત તંત્રએ નિયમિત ચકાસણીઓ કરવી જોઈએ. આ તમામ ધંધાર્થીઓ માટે ફૂડ લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ. તંત્રએ નિયમિત રીતે આ પ્રકારની કેન્ટીનોમાંથી ખાદ્યપદાર્થોનાં સેમ્પલ લેવા જોઈએ અને ગુણવત્તા સંબંધી ચકાસણીઓ થવી જરૂરી છે.આ ઉપરાંત ખાદ્ય પદાર્થો અંગે છાત્રોમાં જાગૃતિ માટે કેમ્પ તથા પત્રિકા વિતરણ કરવામાં આવે એ આવશ્યક છે.