Mysamachar.in-જામનગર
એક તરફ જામનગર જીલ્લામા રેતી ચોરી એ માજા મુકી છે તો બીજી તરફ ગૌચર કે સરકારી જમીનમાં થઇ રહેલી રેતી ચોરીની તપાસની મનાઇ છે તેવો વિચિત્ર જવાબ ખનીજ અધીકારીએ એક રજુઆતકર્તાને આપતા આશ્ર્ચર્ય તો ફેલાયુ છે સાથે સાથે તેમની કામ કરવાની દાનત પણ સ્પષ્ટ થઇ છે,ખરેખર લીઝ મંજુર થયા સિવાયના કોઇ પણ વિસ્તારમાંથી ગૌણ કે મુખ્ય ખનીજોનુ ગેરકાયદે ખોદકામ થતુ હોય તો તે ગુનો બને જ છે અને પગલા લેવાના થાય જ છે તેમ છતા બાલંભામા થઇ રહેલી બેફામ રેતી ચોરી અંગે પગલા ન લેવાતા આશ્ર્ચર્ય સર્જાયુ છે ઉપરથી જામનગર જિલ્લાના ખાણ ખનીજ અધીકારીનો વિચિત્ર જવાબ ખનીજ ચોરીને આડકતરૂ પ્રોત્સાહન આપનારૂ છે કેમકે રજુઆત કરનારે કહ્યુ હતુ કે છ-છ મહિનાથી રજુઆત કરવા છતા પગલા નથી લેવાતા તો અધીકારી કહે ટીમને કીધુ છે આવશે ….તેમ ઠંડા કલેજે જવાબ આપ્યો હતો આ સમગ્ર વાતચીતની ઓડીયો એ પણ ચકચાર મચાવી છે
બીજી તરફ આ વિષયમા પંથકના જાણકારોનો અભિપ્રાય જોઇએ તો જોડીયા પંથકની રેતી ચોરી ના મામલે રજુઆતો થાય છે પરંતુ તૈની કોઇ અસર થઇ રહી નથી કેમકે રાજકીય જુથબંધી સપાટી ઉપર આવી છે તેનો લાભ “લાભ” લેતા તંત્રો ઉઠાવે છે બે જુથોમાં થી એકને કંઇક સકારણ વાંધો નથી બીજા જુથને વાંધો છે માટે કુતરૂ તાણે ગામ ભણી ને શિયાળ તાણે સીમ ભણિ નો ઘાટ ઘડાયો છે,જામનગર જિલ્લામાં ઊંડ નદીમાંથી લીઝની આડમાં બેફામ રેતીચોરી થતી હોવાનો આરોપ લગાવી રેત માફિયા અને અધિકારીઓ વચ્ચેની સાંઠ-ગાંઠ સામે જોડિયામાથી અવાજ ઉઠાવી રજૂઆત થતી જ રહે છે.
જે તે વખતની રજુઆત ઉપર નજર કરીએ તો તે વખતના રજુઆત કર્તાઓના જણાવ્યા મુજબ જોડિયા તાલુકામાં ભાદરા અને કુન્નડ ગામે સાદી રેતીના બ્લોક મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ હાલમાં આ બ્લોકમાં પાણી ભરેલ હોવાથી લીઝની જગ્યાના હદ નિશાન ઉભા કરવામાં આવ્યા નથી. આમ છતાં રેત માફિયાઓ ખાણ-ખનિજ વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ સાથે સાંઠ-ગાંઠ રચી હાલમાં નાવડી વડે પાણી ભરેલા વિસ્તારમાંથી રેતીનું બેફામપણ ખનન કરી રહ્યાં છે અને મંજૂર બ્લોકથી વધુ પ્રમાણમાં રેતી ઉપાડવામાં આવતી હોવાનું જણાવાયું હતુ,
તેમજ જોડિયા તાલુકાના ભાદરા અને કુન્નડમાં હાલમાં પાણી ભરેલાં હોવાથી રેત માફિયાઓ દ્વારા આ પરિસ્થિતિનો ગેરલાભ લેવાઈ રહ્યો છે અને બ્લોક હોલ્ડર તેમજ અધિકારીઓની મીલિભગતથી બ્લોક વિસ્તાર બહારથી નાવ દ્વારા બ્લોકની આડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. રજૂઆતના અંતે તેઓએ ઉમેર્યું હતુ કે, જોડિયા ગામે ઊંડ નદીના પટ્ટમાં આવેલી સાદી રેતીની લીઝ પણ ઘણાં સમયથી ગેરકાયદે ચાલે છે. આ લીઝ વિસ્તારમાં રેતી જ નથી, આમ છતાં લીઝ ધારક દ્વારા લીઝની આજુબાજુના પટ્ટમાંથી મોટા પાયે ખોદકામ કરી ગેરકાયદે રેતી ઉપાડવામાં આવે છે.
આ સંજોગોમાં લીઝના હદ નિશાનો દેખાય તે રીતે ઉભા કરાવી આ લીઝ વિસ્તાર બહારના ભાગે થયેલ ખોદકામની તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે અને જો તલસ્પર્શી તપાસ થાય તો મોટાપાયે સમગ્રપણે “ગોઠવાયેલો” ભ્રષ્ટાચાર સામે આવે તેમ હોવાનું જણાવાયુ હતુ ત્યારે હાલનો ખનીજ અધીકારીનો રેતી ચોરીની રજુઆત સામેનો ઠંડો પ્રતિસાદ આવી અનેક શંકાપ્રેરક બાબતોને સમર્થન આપનારો હોવાનુ પણ જાણકારો ઉમેરે છે.