Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં તથા દેશભરમાં ખાનગી કંપનીઓ દ્વારા ઉદ્યોગોનો પ્રારંભ થાય તે પૂર્વે તથા કંપનીનાં વિસ્તરણ સમયે, પર્યાવરણ સંબંધી જાહેર સુનાવણીઓ યોજવામાં આવતી હોય છે, જે નાટકોથી વિશેષ હોતી નથી, એવું જાહેર સુનાવણીનાં આંખે દેખ્યા અહેવાલોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ! જામનગર નજીક તાજેતરમાં સિક્કા ખાતે આવી એક જાહેર સુનાવણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા સ્થાનિક તંત્ર દ્વારા યોજવામાં આવી હતી. જેની કેટલીક વિગતો જાણવા જેવી છે.
જામનગર નજીક સિક્કા ખાતે દિગ્વિજય સિમેન્ટ કંપની(કમળ છાપ સિમેન્ટ)દાયકાઓથી કાર્યરત છે. આ કંપની આગામી સમયમાં પોતાનાં પ્લાન્ટનું વિસ્તરણ કરવાની છે. જેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો અનુસાર, સ્થાનિક તંત્રો દ્વારા ગત્ સત્તરમી જાન્યુઆરીએ પર્યાવરણ સંબંધી જાહેર સુનાવણી યોજવામાં આવી હતી.
સ્થાનિક તંત્રો દ્વારા આ પરિયોજના અંગેનો જાહેર સુનાવણીનો જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, તે રિપોર્ટમાં જણાવાયું છે કે, આ સુનાવણી કંપનીની જગ્યામાં જ શ્રી ધામ ગેસ્ટ હાઉસ નજીક યોજવામાં આવી હતી. આ લોક સુનાવણીમાં 426 લોકો હાજર રહ્યા હતાં. જે પૈકી ઘણાં લોકોએ કંપનીને કારણે થતાં નુકસાન અંગે ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી. આ ઉપરાંત ઘણાં લોકોએ કંપનીની પ્રશંસા પણ કરી હતી. જો કે કંપની વિરુદ્ધનાં મુદ્દાઓ રજૂ થયાં તે અંગે કોઈ જ સરકારી અધિકારી કે કંપનીનાં પ્રતિનિધિએ સ્પષ્ટતા કરી ન હતી. જાહેર સુનાવણીનાં રિપોર્ટમાં આવી કોઈ જ સ્પષ્ટતા દર્શાવવામાં આવી નથી !
આ પ્રકારની સુનાવણીમાં નિયમ એવો હોય છે કે, સંબંધિત પ્રોજેક્ટની દસ કિમીની ત્રિજ્યામાં જે સ્થાનિક લોકો વસવાટ કરતાં હોય, તેઓ આ સુનાવણીમાં પોતાના મંતવ્યો રજૂ કરતાં હોય છે. આ ઉપરાંત જિલ્લા અને રાજય સ્તરે પર્યાવરણ સંબંધી કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ પણ સુનાવણીમાં હાજર રહી શકે છે. રજૂઆતો કરી શકે છે. વાંધાઓ ઉઠાવી શકે છે.
જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કંપનીની આ પરિયોજનાનો કાર્યકારી સારાંશ આસપાસના 17 ગામોને આપ્યો છે. આ ગામોમાં વસઈ, બેડ, રસૂલનગર, મુંગણી, ગાગવા, મોટી ખાવડી, નાની ખાવડી, શાપર, આમરા, સિક્કા, દિગ્વિજયગ્રામ, જાખર, જોગવડ, મેઘપર, ડેરાચિકારી તથા કાનચિકારીનો સમાવેશ થાય છે. જાહેર સુનાવણીમાં કંપની વતી, કંપનીનાં કોમર્શિયલ વિભાગનાં વાઈસ પ્રેસિડેન્ટ ડો. ગિરીશ મેહતાએ કંપનીનાં આ વિસ્તરણ પ્રોજેક્ટ અંગે પાવર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જો કે તેઓએ કંપની વિરુદ્ધની રજૂઆતો અંગે સ્પષ્ટ અને સંતોષકારક ખુલાસાઓ આપ્યા ન હતાં, એવું આ રિપોર્ટ ખુદ દર્શાવે છે. આ સુનાવણીમાં લોકોએ પ્રશ્નો, સૂચનો, વાંધાઓ અને અભિપ્રાયો રજૂ કર્યા હતાં. આ તકે ઘણાં લોકો અને સંસ્થાઓનાં પ્રતિનિધિઓએ કંપનીની પીઠ ઉદારતાથી થાબડતાં અભિપ્રાયો પણ વ્યક્ત કર્યા હતાં. જે તમામ અભિપ્રાયો લગભગ એકસરખાં હતાં.
આ જાહેર સુનાવણીમાં જે સ્થાનિક લોકોએ કંપનીને કારણે સર્જાતી તકલીફો અંગે વાંધાઓ, સૂચનો અને અભિપ્રાયો આપ્યા છે તેનાં ટૂંકસાર પરથી જાણવા મળે છે કે, સિક્કાના ઈન્દિરાનગર વિસ્તારમાં વર્ષોથી કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. જેને કારણે ફેલાતી ટીબી અને કેન્સર જેવી બિમારીઓને પરિણામે ઘણાં લોકો મૃત્યુ પામે છે ! જે અંગે અહીં સુનાવણીમાં કોઈ કાંઈ બોલ્યું નથી, એવી પણ એક રજૂઆત કરવામાં આવી હતી. કંપનીની CSR ટીમ અમુક અસરગ્રસ્ત વિસ્તારોમાં જતી નથી, એવો આક્ષેપ પણ થયો. આ ટીમ પોતે કામગીરી કરી રહી છે એવાં ફોટા સોશિયલ મીડિયામાં મૂકે છે, જે તથ્ય નથી ! એમ પણ આ રિપોર્ટમાં એક નાગરિકે કહ્યું.
આ સુનાવણીમાં એક ખેડૂતે એમ પણ કહ્યું કે, મેં જામનગર તથા ગાંધીનગર ખાતે મારી અને અમારી સમસ્યાઓ અંગે ઘણી લેખિત રજૂઆત કરી છે. પરંતુ ક્યાંયથી કોઈ જવાબ મળતો નથી. સ્થાનિક રોજગારી સંબંધિત એક રજૂઆત હતી, જેમાં કંપનીએ જણાવ્યું કે, હાલમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કંપની દ્વારા 836 લોકોને રોજગારી આપવામાં આવે છે. કુલ કર્મચારીઓ પૈકી 90 ટકા કર્મચારીઓ ગુજરાતનાં છે. આ ઉપરાંત ખાણકામ, કાચા માલ તથા સિમેન્ટ પરિવહન અન્ય 934 લોકોને પરોક્ષ રોજગારી આપે છે.
દિગ્વિજયગ્રામનાં એક નાગરિકે કહ્યું : કંપનીની CSR કામગીરી માત્ર દેખાડા પૂરતી હોય છે ! દાખલા તરીકે, છાત્રોને જે સ્કૂલ બેગ આપવામાં આવે છે તેમાં તેઓનાં પુસ્તકો ન સમાય તેટલી નાની હોય છે ! આ રજૂઆત સંદર્ભે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એમ કહ્યું કે, આ સુનાવણી પર્યાવરણ સંબંધી છે. તેમાં કાંઈ કહેવાનું હોય તો કહી શકો છો. જેનાં જવાબમાં નાગરિકે કહ્યું: અમો સૌ પ્રદૂષિત પર્યાવરણનો ભોગ બનીએ છીએ તો કંપની તરફથી આટલી સુવિધાઓની અમોને અપેક્ષાઓ હોય.
સિક્કાના અન્ય એક નાગરિકે કહ્યું : પર્યાવરણ સંબંધી ફરિયાદનાં નિકાલ માટે અહી સ્થાનિક એક કેન્દ્ર આપવું જોઈએ. અને લોકોને ફરિયાદ કરવા અંગે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. સ્થાનિક લોકોને રોજગારી આપવાને બદલે આસપાસના ગામોનાં લોકોને રોજગારી આપવામાં આવે છે, અને સિક્કા ગામમાં શિક્ષણ અંગે કંપનીએ સુવિધાઓ આપવી જોઈએ. કાળાભૂંગા ગામનાં એક નાગરિકે કહ્યું : કંપની કરોડો રૂપિયાના પ્રોજેક્ટની વાત કરે છે, ગ્રામજનોની તકલીફ પર ધ્યાન આપતી નથી. દાખલા તરીકે, કંપનીની આરોગ્ય સુવિધાનો લાભ સ્થાનિક ગ્રામજનોને મળતો નથી. હોસ્પિટલ તરફનો રસ્તો કંપનીએ જ બંધ કરી દીધો છે !
એક ગ્રામજને કહ્યું કે, અહીંની એક ખાનગી સ્કૂલને RTE એકટનો લાભ આપવામાં આવતો નથી ! તેથી સ્થાનિક બાળકોને સરકારનાં આ કાયદાનો કોઈ લાભ મળતો નથી. એક ગ્રામજને કહ્યું : આ વિસ્તારમાં પ્રદૂષણ નિયંત્રણ કરવામાં આવતું જ નથી. સર્વે કરો તો ખબર પડે કે, કેટલાં લોકોને ફેફસાંના રોગ થાય છે. આ વિસ્તારમાં આંગણવાડી પાડી નાખવામાં આવી છે. નવું સબ સેન્ટર બનાવવામાં આવ્યું નથી ! પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કહ્યું : આપની આ રજૂઆત વિષયને લગતી નથી. કંપનીએ કહ્યું : આ શાળામાં RTE નાં લાભો આપવામાં આવે છે.
આ રજૂઆતો સંદર્ભે કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તમામ રજૂઆતોનુ રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે, જે રાજય તથા કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવશે. ત્યાંથી જે મંજૂરીઓ આપવામાં આવશે તે પ્રમાણે પગલાં લેવામાં આવશે. કંપની દ્વારા સૌને લેખિત જવાબ પણ આપવામાં આવશે. એક નાગરિકે કહ્યું : કંપની પ્રદૂષણને કારણે થતાં કેન્સર અને ચામડીના રોગો અંગે સર્વે કરાવવો જોઈએ.
અત્રે નોંધનીય છે કે, આ પ્રકારની જાહેર લોકસુનાવણી જામનગર તથા દ્વારકા જિલ્લામાં અવારનવાર યોજાતી રહે છે. બીજી બાજુ કંપનીઓ અને ખાણકામ સહિતનાં પ્રોજેક્ટ અંગે વર્ષ દરમિયાન રજૂઆતો થતી રહેતી હોય છે !