Mysamachar.in-જામનગર:
જુદાં જુદાં કારણોસર સમાજમાં ઘણાં એવાં એકાકી વૃદ્ધ પુરુષો અને મહિલાઓ કોઈ યોગ્ય સાથીદારની તલાશમાં હોય છે. અગાઉ આપણાં સમાજમાં આ વિચાર ભાગ્યે જ કોઈને આવતો પરંતુ હવે પશ્ચિમની દુનિયામાંથી ભારતનાં મેટ્રો શહેરોમાં લોકપ્રિય બનેલો આ કોન્સેપ્ટ હવે જામનગર જેવાં મહાનગરો સુધી પણ વિસ્તરી રહ્યો છે, જે ઘણાં પાત્રો માટે આશિર્વાદરૂપ પૂરવાર થઈ શકે છે.ઘણાં પુરુષો અને મહિલાઓ જિંદગીની સંધ્યાટાણે સાવ એકાકી જીવન જીવતાં હોય છે. તેઓ યોગ્ય સાથીદારનો માનસિક સધિયારો અને સહજીવનની હૂંફ તથા સામીપ્ય ઝંખતા હોય છે.
પરંતુ આ માટે અત્યાર સુધી કોઈ ખાસ અને જાહેર પ્રયત્નો આપણી સમાજ વ્યવસ્થામાં થતાં ન હતાં. આ પરિસ્થિતિ ટાળવા અમદાવાદની એક સંસ્થાનાં સહયોગથી જામનગરની એક સંસ્થાએ બીડું ઝડપ્યું છે અને આવાં પ્રૌઢ અને વયોવૃધ્ધો માટે જીવનસાથી પરિચય- પસંદગી સંમેલન નું આયોજન કર્યું છે, જે સરાહનીય પ્રયાસ લેખાવી શકાય,
જામનગર જિલ્લા પંચાયત કર્મચારીનગર નામની સંસ્થા તથા લાલપુર માર્કેટ યાર્ડના ડાયરેક્ટર જયંતિભાઈ વાદીએ અમદાવાદની સંસ્થા અનુબંધ ફાઉન્ડેશનને આ આયોજનમાં સહયોગ આપ્યો છે. વડિલો માટેનું આ જીવનસાથી પરિચય સંમેલન આગામી રવિવારે (તા.25) લાલપુર બાયપાસ ચોકડી નજીક જિલ્લા પંચાયત કર્મચારી નગર ખાતે સવારે નવ વાગ્યાથી શરૂ થશે. આ સંમેલન ધર્મ અને જ્ઞાતિનાં ભેદભાવથી મુક્ત છે. જેમાં કુંવારા, છૂટાછેડા લીધેલાં સ્ત્રી પુરુષો અને વિધવાઓ તથા વિધૂરો ભાગ લઈ શકશે. આ સંમેલનમાં ગુજરાત તથા મુંબઈનાં 50 થી 80 વર્ષનાં એકાકી જીવન જીવતાં ઉમેદવારો ભાગ લઈ શકશે, જેઓએ આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ સહિતના પુરાવાઓ આપવાનાં રહેશે.
આ સંમેલનમાં સવારે 9 થી 11 રજિસ્ટ્રેશન થયાં પછી, 11 થી 12 વાગ્યા દરમિયાન સંમેલનનો ઉદઘાટન સમારોહ યોજાશે. બપોરે 12 થી 2 વાગ્યા સુધી પાત્ર પરિચય તથા ત્યારબાદ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. બપોરે 3 થી સાંજના 6 વાગ્યા દરમિયાન ઉમેદવારો માટે વ્યક્તિગત મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો દૂરનાં શહેરોમાંથી આવનાર હોય તેઓ માટે સંસ્થા દ્વારા રાત્રિરોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. સંમેલન સંબંધી વધુ જાણકારીઓ માટે નટુભાઈ પટેલ (અમદાવાદ)- 98251 85876, નવીનભાઈ પટેલીયા (રાજકોટ)- 99242 30003, ચંદ્રકાંત રાવલ (અમદાવાદ)- 97254 63927 નો સંપર્ક કરી નામ નોંધણી વગેરે માર્ગદર્શન મેળવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંસ્થા અત્યાર સુધીમાં સિનિયર સિટીઝન માટે 68 સંમેલનો ભારતભરમાં યોજી ચૂકી છે.