Mysamachar.in-જામનગર-
હાલમાં રાજકોટ-જામનગર-કાનાલુસ સિંગલ રેલવે લાઈન છે. તેની બાજુમાં અન્ય એક રેલવે લાઈન પાથરી આ કટકામાં ડબલ ટ્રેક બનવા જઈ રહ્યો છે. આ માટે જમીન સંપાદન કાર્યવાહી તેજ ગતિએ આગળ વધી રહી છે. રેલવે સત્તાવાળાઓ વતી જામનગર તંત્રએ જામનગર અને લાલપુર તાલુકામાં સંપાદન કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત વધુ એક જાહેરનામું આજે મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જામનગર ગ્રામ્ય વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલાં આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, આ કાર્યવાહી અંગે સક્ષમ અધિકારી સમક્ષ કોઈ પણ પ્રકારના વાંધાઓ રજુ થયાં ન હોય, આ પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. લાલપુર તાલુકાની 2 જમીન અને જામનગર તાલુકાની કુલ 13 જમીન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. આ કાર્યવાહી અંતર્ગત હાલ કુલ 4,803 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી જમીનો તંત્ર દ્વારા હસ્તગત કરવામાં આવશે.
આ જાહેરનામા અનુસાર, લાલપુર તાલુકાના પીપળી ગામના બે જમીનમાલિકોની જમીન તથા જામનગર તાલુકાના દોઢીયા ગામનાં કુલ દસ જમીનમાલિકોની કુલ તેર જમીનોનો આ સંપાદન પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેરનામું કહે છે કે, જાહેરનામામાં જે જમીનમાલિકોનાં નામો જાહેર થયા છે, તેઓએ 30 દિવસમાં લેખિત વાંધાઓ, આધારપુરાવા અને બેંક ખાતાં સહિતની વિગતો સંબંધિત સંપાદન તંત્ર સમક્ષ રજૂ કરવાના રહેશે.