Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે માન્યતામાં એવું જોવામાં આવતું હોય છે કે, શિયાળુ ખેતી પાકોને ઓછી ઠંડી અનુકૂળ ન આવે. અને, કુદરતી આ શિયાળામાં અત્યાર સુધી ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે. વચ્ચે બેચાર દિવસ પૂરતું જ લઘુત્તમ તાપમાન ઘટયું હતું. આ સંદર્ભમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં સ્થિતિ શું છે ? તે જોઈએ.
આજે સોમવારે સવારે Mysamachar.in દ્વારા આ સંદર્ભે જિલ્લા ખેતીવાડી અધિકારી રિતેશ ગોહિલનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતુ કે, સામાન્ય રીતે એવું જોવા મળે છે કે – જો કોઈ શિયાળામાં ઠંડીનું પ્રમાણ લાંબો સમય ઓછું રહે એટલે કે, લઘુત્તમ તાપમાન ઉંચુ રહે તો તેની અસરો ઘઉંનાં પાક પર થતી હોય છે. આ અસરો જો કે માત્ર ત્યારે જ થાય જ્યારે પાકમાં દોણો બંધાવાની શરૂઆત હોય. તેઓએ વધુમાં કહ્યું કે, આ વખતે લઘુત્તમ તાપમાન બહુ ઉંચુ રહ્યું નથી, વચ્ચે થોડી ઠંડી પણ રહી હતી. અને આગામી દિવસોમાં પણ લઘુત્તમ તાપમાન નીચું જવાની સંભાવનાઓ હોવાનો રિપોર્ટ પણ છે. એટલે ચિંતાનું કોઈ કારણ પણ નથી. તેઓએ ઉમેર્યું હતું કે, હાલની સ્થિતિએ જામનગર જિલ્લામાં ઠંડીનાં ઓછાં પ્રમાણની કોઈ આડઅસરો ઘઉં સહિતનાં કોઈ પણ પાક પર જોવા મળી નથી અને આગામી દિવસોમાં ઠંડી પડવાની શક્યતાઓ પણ છે જ તેથી ખેડૂતોએ ચિંતા કરવાનું કોઈ કારણ હાલ નથી.