Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં હજારોની સંખ્યામાં ટ્રસ્ટ છે. જે પૈકી કેટલાંક ટ્રસ્ટ જ્ઞાતિ-સમાજ આધારિત હોય છે. કેટલાંક ટ્રસ્ટનું સંચાલન એક જ પરિવાર દ્વારા થતું હોય છે. કેટલાંક ટ્રસ્ટ માત્ર સેવાકીય પ્રવૃતિઓ પૂરતાં જ ચલાવવામાં આવતાં હોય છે. કેટલાંક ટ્રસ્ટ સોસાયટી તરીકે નોંધાયેલા હોય છે. આ બધાં ટ્રસ્ટ પૈકી, કેટલાંક ટ્રસ્ટ એક સંસ્થામાં હોય શકે એવી ખૂબી કે ખામીઓ પણ ધરાવતાં હોય શકે છે ! પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે, ટ્રસ્ટ એક મોટો વિષય છે. જેમાં અનેક આંટીઘૂંટીઓ અને સમસ્યાઓ તથા તેનાં ઉપાયો પણ હોય છે. દરેક જિલ્લામાં તમામ પ્રકારના ટ્રસ્ટ પર એક સરકારી અધિકારી, સરકાર વતી દેખરેખ રાખે છે. જેને ચેરિટી કમિશનર કચેરી કહે છે. જામનગર જેવાં નાના જિલ્લાઓમાં આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરની કચેરી હોય છે.
જામનગર સહિત રાજ્યભરમાં ટ્રસ્ટની રચના ગુજરાત પબ્લિક ટ્રસ્ટ – 1950ના નિયમો અને જોગવાઈઓ મુજબ કરવાની જવાબદારી ટ્રસ્ટીઓની રહે છે. તેઓ આ માટે ડેપ્યુટી અથવા આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર સમક્ષ ટ્રસ્ટ રચવા અરજી કરી શકે છે. આ માટેનું નિયત ફોર્મ માત્ર રૂ. 10 ની કિંમતે જામનગરમાં ગુલાબનગર રોડ પર આવેલા જિલ્લા સેવા સદન – 4 ખાતેથી મેળવી શકાય છે. અને, કોઈ પણ વ્યક્તિ ટ્રસ્ટ રચના અંગે કચેરીમાં જાણ કરે પછી વધુમાં વધુ 90 દિવસની અંદર આ ટ્રસ્ટને ટ્રસ્ટ એકટ લાગુ પડી જાય છે એમ આ એકટનુ સેકશન-18 કહે છે. ટ્રસ્ટની રચના માટે કચેરીમાં તમામ ટ્રસ્ટીઓ તથા મેનેજરના નામ, સરનામા સહિતની વિગતો આપવી ફરજિયાત છે. અને જો આ ટ્રસ્ટ કોઇ પણ પ્રકારની સ્થાવર કે જંગમ મિલકતો ધરાવતું હોય, ઓફિસ વગેરે ધરાવતું હોય, તો તેની સંપૂર્ણ યાદી કચેરીમાં આપવાની રહે છે. જો ટ્રસ્ટ ભાડાની કે અન્ય કોઈ આવકો મેળવતી મિલ્કતો વગેરે ધરાવતું હોય તો, ત્રણ વર્ષની કુલ આવકોની વિગતો પણ કચેરીમાં આપવાની રહે છે. આ ઉપરાંત ટ્રસ્ટની નોંધણી કે રચના સંબંધિત કચેરી અરજદારને કેટલીક પૂછપરછ પણ કરી શકે છે. દાખલા તરીકે: ટ્રસ્ટ અસ્તિત્વ ધરાવે છે કે માત્ર નામ પૂરતી જ નોંધણી કરવામાં આવી છે ? ટ્રસ્ટની મિલ્કતોની ભૌતિક ચકાસણી કરી શકે છે. આ પ્રકારની તમામ પૂછપરછ સેકશન-18ના સબસેકશન-5 મુજબ કરી શકવાની સતા સંબંધિત સક્ષમ અધિકારી ધરાવે છે.
સામાન્ય રીતે ત્રણ પ્રકારના ટ્રસ્ટ મોટી સંખ્યામાં જોવા મળે છે. 1: જ્ઞાતિ અથવા સમાજ અથવા ધાર્મિક હેતુઓ માટે A પ્રકારના ટ્રસ્ટ, 2: સેવાકીય પ્રવૃતિઓ માટેના ટ્રસ્ટ, જે E પ્રકારના ટ્રસ્ટ કહેવાય છે અથવા , 3 : F પ્રકારના ટ્રસ્ટ કે જે સોસાયટી તરીકે નોંધાયેલા હોય છે. A પ્રકારના ટ્રસ્ટ માટે લેખિત બંધારણ આવશ્યક છે. E પ્રકારના ટ્રસ્ટ માટે ડીડ(deed) ફરજિયાત છે. અને, F પ્રકારના સોસાયટી ટાઈપ ટ્રસ્ટ માટે મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ્સ અને આર્ટિકલ ઓફ એસોસિએશન જરૂરી છે. સરકારનો નિયમ એવો છે કે, આવક ધરાવતાં પ્રત્યેક ટ્રસ્ટે વાર્ષિક આવકનાં બે ટકા અથવા રૂ. 50,000, બે પૈકી જે રકમ ઓછી હોય તે રકમ ચેરિટી કમિશનર કચેરીમાં દર વર્ષે ફાળા તરીકે જમા કરાવી તેની પહોંચ મેળવી લેવાની હોય છે.
-ધારો કે કોઈ ટ્રસ્ટ વિદેશથી આવક અથવા દાન પ્રાપ્ત કરે છે…
ઘણાં ટ્રસ્ટ એવાં પણ હોય છે જે વિદેશોમાં પણ આવક, બ્રાન્ચ ધરાવતાં હોય, વિદેશથી દાન પ્રાપ્ત કરતાં હોય. આ પ્રકારના દાન તથા આવક પર રાજ્ય અને કેન્દ્ર સરકારનો નાણાં વિભાગ એટલે કે, આવકવેરા તથા ED વગેરે ધ્યાન આપે છે. ચેરિટી કમિશનર કચેરી માત્ર એટલું જ ધ્યાન આપે છે કે, સંબંધિત ટ્રસ્ટ પોતાની આ પ્રકારની આવકો અથવા દાન વગેરે વાર્ષિક હિસાબોમાં દર્શાવે.