Mysamachar.in-જામનગર:
વિધાનસભાની ચુંટણીઓ ગઈકાલે વિધિવત રીતે જાહેર થતા જ જીલ્લાકક્ષાએ તંત્ર દ્વારા જરૂરી તમામ કાર્યવાહીઓ શરુ કરી દેવામાં આવી છે, એવામાં જામનગર જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી અને આત્મરક્ષણ અને પાક રક્ષણ માટે લીધેલ હથિયારના પરવાના ધારકોએ પરવાના નજીકના પોલીસ મથકમાં જમા કરાવી દેવા આદેશ આપવામાં આવ્યો છે.વિધાનસભાની આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણી પંચનો અભિગમ રહેલો છે. ચૂંટણી મુકત અને ન્યાયી રીતે તથા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેના માટે તંત્ર દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
ચૂંટણી સંબંધી કાર્યક્રમોમાં અને જાહેર સ્થળોએ લોકો તેમના પરવાનાવાળા હથિયાર સાથે રાખીને એકઠા થાય કે પસાર થાય તો લોકોમાં ભયમુક્ત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાઈ નહી. વધુમાં મતદાનની પ્રક્રિયા તેમજ મત ગણતરીની પ્રક્રિયા શાંતિપુર્ણ વાતાવરણમાં પુરી કરી શકાય તે માટે પરવાનાવાળા હથિયારો ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જમા જામનગર જિલ્લાના આત્મરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનદારો (અપવાદ સિવાયના) એ તેમના હથિયાર દિવસ-7 માં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવા આ જાહેરનામાંમાં ઉલ્લેખ કરાયો છે.
જિલ્લાના જે પરવાનેદારોએ હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ મેળવવાને પાત્ર હોય તેઓએ જિલ્લા કક્ષાએ 4 દિવસમાં સ્ક્રિનિંગ કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે. ઉપરોકત તમામ હથિયારો ચુંટણી પ્રક્રિયા પુર્ણ થવાની તા.10/12/2022 પછી દિવસ-7 માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂર્ણ કરી લેવાની રહેશે. આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ 30 તથા ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સૌરભ પારઘી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.