Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં કરોડો લોકોનાં આરોગ્ય અને જિવન સાથે, અખાદ્ય ચીજોને કારણે દાયકાઓથી ચેડાં થઈ રહ્યાની અતિ ગંભીર સ્થિતિ છતાં, આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કે કાર્યવાહી થતી હોવાનું ક્યાંય દેખાતું નથી ! આ મામલો ગંભીર છે. કેન્દ્ર સરકારે ફૂડ સેફ્ટી માટે આકરાં નિયમો બનાવ્યા છે, અમલની જવાબદારી રાજ્ય સરકારોની છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે, જામનગર સહિતના મહાનગરોમાં અને જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ફૂડની અખાદ્ય સ્થિતિ સહિતનાં કારણોથી કરોડો લોકોની સેફ્ટી જોખમાઈ રહી છે. તંત્રો વારે તહેવારે ચેકીંગનાં નાટકો કરે છે, વર્ષનાં બાકીનાં દિવસોમાં રેઢાં રાજ હોય છે. ખાદ્ય ચીજોના ધંધાર્થીઓ લોકોને ઉંચા ભાવે કેવી ખાદ્યચીજો પધરાવે છે ? એ પ્રશ્નનો જવાબ ભગવાન જાણે !
મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા ક્યારેક ક્યારેક ચેકીંગ કરે છે, ધંધાર્થીઓને સ્વચ્છતા અને આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા નોટિસ આપે છે અને ગણ્યાગાંઠ્યા કિસ્સાઓમાં કેટલીક અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો છે, એવી મીડિયા મારફતે જાહેરાતો કરે છે. આટલું પૂરતું નથી. ધારો કે, વર્ષ દરમિયાન જ્યારે ચેકીંગ થતું નથી ત્યારે, ધંધાર્થીઓ ગ્રાહકોને અખાદ્ય અને વાસી ચીજો વેચતાં નથી, તેની ખાતરી શું ?! ટૂંકમાં, લોકોનાં પેટમાં અખાદ્ય અને વાસી ચીજો જાય જ છે ! લોકોનાં આરોગ્ય અને જિંદગી સાથે ચેડાં થાય જ છે ! ચેકીંગ દરમ્યાન, નજરે ચડતી ચીજો પૈકી કેટલીક અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવે એટલે, આપણે જંગ જિતી જતાં નથી.
આ માટે ગુજરાત સરકારે કાયદામાં જરૂરી સુધારા કરવા જોઈએ. જ્યાંથી અખાદ્ય કે વાસી ખાદ્ય પદાર્થો પકડાય તેની વિરુદ્ધ જેલસજા સહિતનાં કઠોર પગલાંઓ લઈ શકાય તે પ્રકારની જોગવાઈઓ બનાવવામાં આવે અને તેનો કડક અને ચુસ્ત અમલ કરવામાં આવે તો જ લોકોને સલામતીનો અહેસાસ કરાવી શકાય અને ફૂડ સેફ્ટી કાયદાનો કંઈક અર્થ સરે. હાલની સ્થિતિ યોગ્ય નથી અને ગંભીર છે. ચિંતાજનક છે. જેનો તાકીદે ઉપાય આવશ્યક જ નહીં, અનિવાર્ય છે.
-જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન કચેરી તદ્દન ચૂપ !!
જામનગર જિલ્લામાં ફૂડ અને હેલ્થ વિભાગની જવાબદારી જેનાં શિરે છે એ કચેરી જામનગરમાં દરબારગઢ સર્કલ ખાતે આવેલી છે. આ કચેરીનાં મુખ્ય અધિકારી કયારેક જ જામનગર આવે છે ! તેમની પાસે આઠ-આઠ જિલ્લાની કચેરીઓનો ચાર્જ છે ! કલ્પના કરો, સરકાર આ ક્ષેત્રમાં કેટલી ગંભીર છે ! આ કચેરીમાં સેકન્ડ કેડરના અધિકારીઓ ભાગ્યે જ ક્યારેક કચેરીમાં જોવા મળે છે ! સમગ્ર કચેરી કરાર આધારિત બિન અનુભવી છોકરાઓ અને છોકરીઓ મારફતે ચાલે છે ! ગમે ત્યારે કચેરીની મુલાકાત લો, જવાબ મળે કે, સાહેબ ફિલ્ડમાં છે ! ફિલ્ડ એટલે ?!
આ કચેરી પોતાની વર્ષ દરમિયાનની કામગીરીનો રિપોર્ટ લોકો સમક્ષ જાહેર કરતી નથી ! અને, મેડીકલ સ્ટોર્સ સહિતનાં ધંધાર્થીઓ સાથે સુંવાળા સંબંધો ધરાવે છે. કેટલાક સમય પહેલા આ કચેરીના એક મહિલા અધિકારીની આર્થિક ગેરરીતિ ચર્ચામાં આવી હતી, એ પણ નોંધનીય છે. આ સ્થિતિમાં, આ કચેરી શું મોથ મારતી હશે, એ સમજી શકાય તેવી બાબત છે. ટૂંકમાં, નાગરિકો આ અર્થમાં રામભરોસે જિવે છે, ખોરાક અને ઔષધ નિયમન આપણાં શહેર અને જિલ્લામાં યોગ્ય રીતે થતું નથી ! ગંભીર વાસ્તવિકતા આ છે !!