Mysamachar.in:જામનગર
કોઈ પણ સભ્ય, સુસંસ્કૃત, શાંત અને સમૃધ્ધ સમાજમાં અસામાજિક હરકતો હંમેશા નિંદનીય હોય છે. ગુજરાત શાંત અને સમૃધ્ધ રાજ્ય છે. જામનગર મોજીલુ અને મસ્ત શહેર છે. પરંતુ તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓ આંખ ઉઘાડનારી છે ! પોલીસે કડક બનવું અનિવાર્ય બની રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે, પોલીસ આકરાં પગલાં લ્યે – એવું મોટાભાગના નગરજનો ઇચ્છી રહ્યા છે.
થોડાં દિવસો પહેલાં શહેરમાં નાગનાથ સર્કલ નજીક એક ધંધાર્થી પર લુખ્ખાઓએ સરેઆમ ઘાતક અને સશસ્ત્ર હુમલો કર્યો, જાણે કે અસામાજિક તત્ત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ નથી ! આ પ્રકારની ઘટનાઓથી શાંત નગરજનો અને વેપારીઓ ફફડી ઉઠે છે. ફફડી રહ્યા છે ! ત્યારબાદ કાલે સોમવારે ફરી આવો બનાવ બન્યો ! ગુલાબનગર વિસ્તારમાં કેટલાંક શખ્સોએ ઘાતકી હુમલો કર્યો ! તેનાં પણ CCTV ફૂટેજ શહેરમાં વાયરલ થયાં. નગરજનો ફફડી રહ્યા છે.
હુમલો આકસ્મિક ઘટના છે. પોલીસને અગાઉથી કોઈ ખબર નથી હોતી. ખરી વાત છે. પરંતુ હુમલાની ઘટના પછી, પોલીસ ધારે તો – ઘણું કરી શકે. CCTV ફૂટેજ તથા બાતમીદારોના આધારે આવા અસામાજિક તત્ત્વોને ગણતરીના કલાકોમાં પકડી શકે. બનાવનાં જ સ્થળે જાહેરમાં સરઘસ યોજી શકે. હુમલાખોરોના ઘર પાસે પણ જાહેરમાં સરઘસ યોજી શકાય. આરોપીઓને માનસિક સજા આપી શકાય. ઉપરાંત અદાલતમાં રિમાન્ડની માંગણી કરી, પોલીસ કસ્ટડીમાં ખરેખરી રિમાન્ડ પણ લઈ શકાય. બનાવની તપાસ એવી રીતે કરવામાં આવે કે, આરોપી અદાલતમાં સજા પામે. અને, આ તમામ કાર્યવાહી તથા કામગીરી વીજળી ઝડપે થવી જોઈએ, નગરજનો આવું ઇચ્છે છે. કારણ કે, તો જ અસામાજિક તત્વો ખાખી રંગથી ફફડે.
અત્યારની સ્થિતિ એવી છે કે, અસામાજિક તત્વોની માનસિકતા એવી છે કે, કાયદો આપણાં ખિસ્સામાં છે ! તેથી તેઓ આવાં કૃત્યો છડેચોક, કોઈનાં પણ ડર વિના આચરે છે ! કાયદો હાથમાં લઈ લ્યે છે, ગમે ત્યારે, ગમે ત્યાં !! શા માટે આવું થાય છે ?! જામનગર બિહાર કે ઉતરપ્રદેશનું કોઈ ગામડું નથી – એ હકીકત અસામાજિક તત્ત્વોને સારી પેઠે યાદ રહી જાય એ માટે પોલીસે પોતાનો ‘ અસલી રંગ ‘ આવાં તત્ત્વોને દેખાડવો જોઈએ. નગરજનોની આ લાગણી જામનગર પોલીસે સમજવી જરૂરી છે.
છડેચોક હુમલાઓની ઉપરાઉપરી ઘટનાઓ, પોલીસને તો ખૂલ્લો પડકાર છે જ. જામનગરનાં નગરજનો માટે ગંભીર ચિંતાનો વિષય છે ! આજથી પાંચ સાત વર્ષ બાદ આ શાંત શહેરની સ્થિતિ શું હશે ?! નગરજનો પોતાનાં ઘરોમાં પરિવાર સાથે શાંતિ માણી શકશે ??!! પોલીસે જાગ્યા ત્યારથી સવાર સૂત્ર યાદ રાખી અસામાજિક તત્વો પ્રત્યે એકદમ કડક બનવાની આવશ્યકતા છે. આ ગુંડારાજ શહેરનાં પતનનો પ્રારંભ પૂરવાર થઈ શકે છે !!