Mysamachar.in-
જામનગર સહિતના સમગ્ર હાલાર ઉપરાંત આખાયે સૌરાષ્ટ્રને લાંબા અંતરની વધુ ટ્રેનો મળી શકે એમ છે પરંતુ રેલવે તંત્રની દ્રષ્ટિ ટૂંકી છે. તંત્રએ સૌરાષ્ટ્રના સ્ટેશનો ખાતે પાયાગત સુવિધાઓ વિકસાવી ન હોય, સમગ્ર સૌરાષ્ટ્ર વધારાની ટ્રેન સેવાઓથી વંચિત રહી ગયું છે !! અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચે લાંબા અંતરની વધુ ટ્રેનો દોડાવવા માટે સમગ્ર સૌરાષ્ટ્રના છેવાડાના રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવી પડે, જે આટલાં વર્ષોમાં કરવામાં આવી નથી. હાલમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી અસંખ્ય ટ્રેન અમદાવાદ સુધી આવે છે, આ ટ્રેનોને રાજકોટ, જામનગર, દ્વારકા, વેરાવળ કે ભાવનગર, કચ્છ સુધી લંબાવી શકાતી નથી ! કેમ કે આ બધાં છેવાડાના સ્ટેશનોએ વધારાની ટ્રેનોના પાર્કિંગ માટેની લૂપલાઈન સહિતની સુવિધાઓ વિકસાવવામાં જ નથી આવી !!
ગત્ રેલવે બજેટમાં સૌરાષ્ટ્રના રાજકોટ અને ભાવનગર રેલવે ડિવિઝનોને વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ લાંબા અંતરની ટ્રેનોને પાર્ક કરવા માટેની લૂપલાઈનની કોઈ વ્યવસ્થા આ તમામ છેવાડાના સ્ટેશનોએ કરવામાં આવી નથી ! જેને કારણે અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચે લાંબા અંતરની વધારાની ટ્રેનો દોડાવી શકાતી નથી. નવાઈની વાત એ પણ છે કે, ડબલ ટ્રેક થઈ ગયા બાદ હજુ પણ રાજકોટ-અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનોની ગતિમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અમદાવાદ પહોંચવા ઈચ્છતા લોકોને રાજકોટ અને અમદાવાદ વચ્ચે બોરિંગ પ્રવાસનો અનુભવ થાય છે.
દેશના વિવિધ ખૂણેથી લાંબા અંતરની જે ટ્રેનો અમદાવાદ આવે છે, એ પૈકી 20 ટ્રેનોને સૌરાષ્ટ્રમાં મોકલી શકાતી નથી ! કેમ કે, જામનગર, દ્વારકા, વેરાવળ, સોમનાથ, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના છેવાડાના સ્ટેશનોએ આ ટ્રેનો પાર્ક કરવા માટેની લૂપલાઈન જ નથી. લાંબા અંતરની આ બધી ટ્રેનોને સૌરાષ્ટ્રમાં લાવવી હોય તો ઓછામાં ઓછી 30 લૂપલાઈન હોવી જોઈએ. તેની સામે લૂપલાઈન બનાવવામાં જ નથી આવી, જોગવાઇ પણ કરવામાં આવી નથી. લૂપલાઈન સાથેસાથે આ તમામ સ્ટેશનોએ મેન્ટેનન્સ સ્ટાફ વધારવો પડે, ઈન્સ્પેક્શન સ્ટાફની વ્યવસ્થા કરવી પડે, મેન્ટેનન્સ ડેપો બનાવવા પડે- આ પ્રકારની કોઈ વ્યવસ્થાઓ સૌરાષ્ટ્રમાં કરવામાં આવી ન હોય લાંબા અંતરની વધુ ટ્રેનો સૌરાષ્ટ્ર માટે હજુ દીવા સ્વપ્ન જ રહે તેવી સ્થિતિ હોવાનું સૂત્ર જણાવે છે.