Mysamachar.in-જામનગર:
વેપાર-ઉદ્યોગ સંબંધિત અનિયમિતતાઓ, ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર, કૌભાંડો અને અન્ય આર્થિક ગુનાઓની દુનિયા આપણે સૌ જાણીએ છીએ તેમ, બહુ મોટી છે. કોઈ પણ ક્ષેત્રની મથરાવટી મેલી હોય, એ ક્ષેત્રમાં પ્રમાણિક ધંધાર્થીઓને ભાગે સહન કરવાનું આવતું હોય છે. અત્રે માત્ર ઉદ્યોગ પૂરતી જ વાત કરીએ તો, જામનગર શહેર અને જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ પછાત કે અવિકસિત નથી. આપણો બ્રાસ ઉદ્યોગ વિશ્વવિખ્યાત છે. અબજો રૂપિયાનું ટર્નઓવર છે. લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે અને સરકારને વર્ષે દહાડે કરોડો રૂપિયા વેરાઓના સ્વરૂપમાં ચૂકવે છે. માત્ર બ્રાસ ઉદ્યોગ જ શા માટે ?! ઓઈલ, જિનિંગ સહિતનાં સેંકડો ઉદ્યોગો આપણાં જિલ્લાનાં અર્થતંત્રની ધોરી નસ છે. આશિર્વાદ છે. સાથેસાથે, આ ક્ષેત્રોમાં દૂષણોની પણ કોઈ કમી નથી. તંત્રોનાં છૂપાં આશિર્વાદ અથવા સામેલગીરી પણ તપાસનો વિષય લેખાવી શકાય.
આપણે સૌ જાણીએ છીએ કે, શંકરટેકરી ઉદ્યોગનગર, દરેડમાં હજારો કારખાનાં અને વિશ્વ વેપાર કરતી કંપનીઓ, હાપામાં પણ ઉદ્યોગનગર છે અને સરૂ સેકશન રોડ નજીક એમ.પી.શાહ ઉદ્યોગનગર – ટૂંકમાં, જામનગર ફરતે બધે જ હજારો ઉદ્યોગો રાતદિન ધમધમે છે. શહેરમાં પણ ઘણાં ઉદ્યોગો કાર્યરત છે. છતાં પણ જોવાની ખૂબી એ છે કે, જામનગરની ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ કચેરીમાં માત્ર 617 કારખાનાં નોંધાયેલા છે.! જે પૈકી 45 કારખાનાં કચેરીનાં રેકર્ડ મુજબ બંધ છે. આ ઉપરાંત જોખમી રસાયણોના ઉત્પાદન સાથે સંકળાયેલા કારખાનાઓની જિલ્લામાં સંખ્યા 4 છે. ટૂંકમાં, સરકારની આ કચેરીમાં નોધણી થયાં મુજબ, શહેર અને જિલ્લામાં માત્ર 576 કારખાનાં છે. આ યાદી 10 થી વધુ કામદારો ધરાવતાં ઔદ્યોગિક એકમોની છે.
સરકારનાં આ વિભાગે ઉદ્યોગ ક્ષેત્રમાં ઘણી બધી બાબતો પર વોચ રાખવાની હોય છે. ઇન્સ્પેકશન કરવાનું હોય છે. નોટિસો ફટકારવાની હોય છે. દંડ કરવાનાં હોય છે. કારખાનાંઓ જરૂર પડ્યે સીલ કરવાનાં હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના, ઉદ્યોગ સંબંધિત સેંકડો નિયમો, જોગવાઈઓ અને કાયદાઓનું પાલન અને અમલીકરણ આ કચેરીએ કરાવવાનું હોય છે. આ કચેરીએ હોસ્પિટલો, હોટેલો તથા ઔદ્યોગિક એકમોની ઇમારતોના નિર્માણ પર પણ વોચ રાખવાની હોય છે. નગરજનો, કહો…તમે આ કચેરીનું નામ ક્યારેય સાંભળ્યું છે ?! ઔદ્યોગિક અકસ્માતો વખતે પણ આ કચેરી ભેદી અને કાયમી મૌન જાળવે છે, તે પણ સૂચક બાબત લેખી શકાય.
-કલ્પના કરો, વિવિધ વેરાઓની કેવડી તોતિંગ ચોરી થતી હશે..
જાણકારો એમ પણ કહે છે, જે મોટાં કારખાનાંઓ કોઈ કારણસર આ કચેરીમાં, નોંધણી ફરજિયાત હોવાં છતાં નોંધાયા ન હોય તેઓનો આશય સમજી શકાય તેવો હોય. કચેરીની ભૂમિકા પણ આવાં કિસ્સાઓમાં આપોઆપ સ્કેનર હેઠળ આવી જાય. અને, આવાં અનરજિસ્ટર્ડ ઔદ્યોગિક એકમો પછી તો સરકારનાં અન્ય વિભાગોમાં પણ નોંધણી ન જ કરાવે ! કલ્પના કરો, વિવિધ વેરાઓની કેવડી તોતિંગ ચોરી થઇ શકે !