Mysamachar.in:જામનગર
જામનગર શહેરથી થોડે દૂર, જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની હદ બહાર, નોન TP એરિયામાં પણ બાંધકામો થઈ રહ્યા છે. આ પ્રકારના બાંધકામો રાજ્યભરમાં થઈ રહ્યા છે. જ્યાં ન શહેરનું કોઈ નિયંત્રણ હોય છે, ન વિસ્તાર વિકાસ સત્તામંડળનું કોઈ નિયંત્રણ ! આવાં બાંધકામોમાં રહેણાંક પ્રોજેક્ટ્સ પણ અનિયંત્રિત રીતે ખડકાઈ જતાં હોય છે. જે બાબતો ધ્યાનમાં રાખી સત્તામંડળોની હદ વધારવા સરકારને ભલામણ કરવામાં આવી છે. ‘રેરા’એ આ ભલામણ કરી છે.
ભલામણમાં સરકારને કહેવાયું છે કે, આ પ્રકારના ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના અનિયંત્રિત બાંધકામો જોખમનો વિષય બની શકે છે. જેને ધ્યાને લઈ વિસ્તાર વિકાસ સત્તામંડળોની હદ વધારવી જરૂરી છે, એમ ‘રેરા’ કહે છે. આ સંસ્થાએ પોતાનો વાર્ષિક અહેવાલ વિધાનસભાને સુપ્રત કર્યો છે, જેમાં આ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અનિયંત્રિત વિકાસ એટલે કે ગેરકાયદે બાંધકામોને નિયમિત કરી આપવા ત્રણ દાયકામાં ત્રણ વખત સરકાર ઈમ્પેકટ ફી કાયદો લાવી. આમ છતાં શહેરોને પાયાગત સુવિધાઓ પૂરી પાડવાના ક્ષેત્રમાં સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એંશી ટકા સિદ્ધિ હાંસલ કરી શકી નથી. આ સ્થિતિમાં સંતુલિત વિકાસ અને ભવિષ્યનાં પડકારોને ટાળવા ‘રેરા’ એ આ સૂચનો સરકારને સોંપ્યા છે.
‘રેરા’એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, મોટાભાગના શહેરો આસપાસ સત્તામંડળોની હદ બહારનાં વિસ્તારોમાં મોટાભાગના બાંધકામો બની રહ્યા છે. અનિયંત્રિત રીતે બધું ચાલી રહ્યું છે. આથી સત્તામંડળોની હદ વધારવી જરૂરી છે. ટૂંકમાં, નોનTP એરિયા તથા રાજ્યનાં આઠ મુખ્ય હાઈવે આસપાસ જે બાંધકામ પ્રવૃતિઓ ચાલી રહી છે તેને ચોક્કસ નિયંત્રણ વ્યવસ્થા હેઠળ લાવવા ‘રેરા’એ આ ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં આ પ્રકારના બાંધકામોમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને લોકોનાં અધિકારો બાબતે અરાજકતાભરી સ્થિતિ પ્રવર્તે છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારનો પ્રશ્ન છે. આવાં વિસ્તારોમાં સૌથી ઓછાં 12 બાંધકામો જામનગરમાં છે. આવા સૌથી વધુ બાંધકામો વડોદરા તથા રાજકોટમાં ખડકાઈ ચૂક્યા છે !